
- નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ,
- લાછરસ ગામ બેટમાં ફેરવાયું, અનેક વાહનો તણાયા,
- ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 9 ઈંચ વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આજે સવારથી મેઘરાજા નર્મદા જિલ્લા પર વધુ મહેરબાન થયા હતા, તિલકવાડામાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો,. ડેડિયાપાડામાં 4 ઈંચ વસાદ પડ્યો હતો. જ્યારે વલસાડના વાપીમાં સાડા પાંચ ઈંચ, છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત, વલસાડ અને તાપી સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઇને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ નર્મદાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે. લાછરસ ગામ જવાના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે. લાછરસ ગામમાં પાણી ભરાતા વાહનો તણાયા છે. ગ્રામજનોએ રેસ્ક્યૂ કરી વાહન ચાલકોને બચાવ્યા હતા.
વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને મધુબન ડેમના 8 દરવાજા 2 મીટરે ખોલી ડેમમાંથી 43 હજાર ક્યુસેટ પાણી છોડવામાં આવતા દમણગંગા નદી-2 સામાન્ય કરતા ભયજનક સ્થિતિ નજીક વહેવા લાગી છે. દમણગંગા નદી અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ધરમપુરથી 30 કિમીના અંતરે આવેલા વાઘવળ ગામનો શંકર ધોધ 100 ફૂટ નીચે તળેટીમાં પડી રહ્યો છે. વરસાદી નીરને લઈ સોળે કળાએ ખીલી ઉઠતા શંકર ધોધના નયનરમ્ય સૌંદર્ય નજીક પર્યટકો સેલ્ફી સહિત આ નયનરમ્ય દશ્યને કેમેરામાં કંડારતા હોય છે.
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.