
RBIએ કર્યો રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો
નવી દિલ્હીઃ લોનધારકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આજે શુક્રવારે, મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેના પગલે હવે રેપો રેટ 6 ટકાથી ઘટીને 5.5 ટકા થયો છે. આ વર્ષ 2025માં સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરી 2025 અને એપ્રિલ 2025માં પણ રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો.
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ ઘટાડવાની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે આ પગલું આર્થિક વિકાસને ટેકો આપશે. આ નિર્ણયથી હોમ લોન, ઓટો લોન અને અન્ય લોન લેનારા ગ્રાહકોને ફાયદો થશે, કારણ કે બેંકો સામાન્ય રીતે રેપો રેટમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપે છે. આનાથી બજારમાં રોકડ પ્રવાહિતા વધશે અને રોકાણને પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.