1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને 27 દિવસ બાદ ઉતારાયુ
મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને 27 દિવસ બાદ ઉતારાયુ

મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને 27 દિવસ બાદ ઉતારાયુ

0
Social Share
  • ગંભીરા બ્રિજ તૂટી જતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા,
  • એસિડ ભરેલું ટેન્કર 27 દિવસથી લટકી રહ્યું હતુ,
  • રબર કેપ્સ્યૂલથી ટેન્કર ઊંચું કરી દોરડાથી ખેંચીને બહાર કઢાયું

વડોદરાઃ પાદરા નજીક હાઈવે પરના મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી જતા અનેક વાહનો નદીમાં ખબક્યા હતા. જેમાં 21 લોકોના મોત નિપજ્યા હતા. આ દૂર્ઘટનામાં તૂટી ગયેલા બ્રિજ પર એસિડ ભરેલું ટેન્કર લટકી રહ્યુ હતું. અને ટેન્કરને કઈ રીતે ઉતારવું તેની મથામણ ચાલી રહી હતી. આખરે ગંભીરાબ્રિજ પરથી 27 દિવસ બાદ ટેન્કર ઉતારવામાં આવ્યું છે. 2 કેપ્સ્યૂલની મદદથી ટેન્કરને ઊંચું કરી દોરડાથી બ્રિજ પર ખેંચાયું હતું.

મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ પર ફસાયેલી કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઈમર્જન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌપ્રથમ બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યૂલ મૂકીને તેમાં હવા ભરવામાં આવી હતી, જેથી ટેન્કર બ્રિજને સમતોલ થઈ ગયું હતું. આ દરમિયાન સ્ટ્રેઈન જેકનો ઉપયોગ કરીને ટેન્કરને પકડી રાખવામાં આવ્યું. ત્યારબાદ કેબલથી ખેંચીને ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું. અંતે લાંબી ક્રેઇનની મદદથી ટેન્કરને બ્રિજના છેડે સુરક્ષિત રીતે લાવવામાં આવ્યું હતું.

વિશ્વકર્મા કંપનીના એન્જિનિયરે જણાવ્યું હતું કે, નિષ્ણાત ઇજનેરો સહિત આશરે 70 લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા. ટેન્કરને બહાર કાઢવાની કામગીરી પડકારજનક હતી, પરંતુ સૂઝબૂઝ અને કૌશલ્યથી આ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું તેનો સંતોષ છે. ટેન્કરને બહાર કાઢવાની કામગીરી સમયે સુરક્ષાનું ધ્યાન રાખીને અન્ય માપદંડો સાથે ચાર ડ્રોન વડે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જેથી નિરીક્ષણ કરી શકાય. એર લિફ્ટિંગ રોલર બેગ (કેપ્સ્યુલ) અને બે મોટી ક્રેઈન તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code