
- પદવીદાન સમારોહમાં રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઈસરોના ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે
- 42,677 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે
- 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ આવતી કાલે તા. 4 માર્ચના મંગળવારના રોજ બપોરે 3.30 વાગ્યે રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા તથા ISRO-SAC, અમદાવાદના ડાયરેકટર નિલેષ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 42,677 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 126 ગોલ્ડ મેડલ તથા 221 પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ અગાઉ તા.29 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તે વખતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું નિધન થતા રાષ્ટ્રીય શોક પાળવામાં આવ્યો હતો અને તેથી પદવીદાન સમારોહ મોકૂફ રહ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ફેબ્રુઆરી મહિનામાં પદવીદાન સમારોહ યોજવાની તારીખ રાજ્યપાલ સમક્ષ માગવામાં આવી હતી. જોકે આ દરમિયાન તારીખ ન મળી પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારંભ આગામી તા. 4 માર્ચના મંગળવારના રોજ બપોરે 3.30 વાગ્યે રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા તથા ISRO-SAC, અમદાવાદના ડાયરેકટર નિલેષ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ કાલે મંગળવારે યોજાનારા પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 59મા પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 111 વિદ્યાર્થીઓને કુલ 126 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં દાતાઓ તરફથી કુલ 52 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 74 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ 108 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 113 પ્રાઈઝ મળીને 221 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. 39 વિદ્યાર્થીઓ તથા 87 વિદ્યાર્થિનીઓ મળીને કુલ 126 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.