- પરિક્રમામાં બાળકો અને વૃદ્ધોને ન આવવા તંત્રએ કરી અપીલ,
- વહિવટી તંત્ર સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેશે,
- 36 કીમીના પરિક્રમાના માર્ગ પર કાદવ-કીચડ અને ઢોળાવવાળા રસ્તા લપસણા બન્યા
જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાના પ્રારંભને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ગિરનારના જંગલ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પરિક્રમામા 36 કીમીનો માર્ગ ધોવાઈ ગયો છે. વરસાદને લીધે પરિક્રમાના માર્ગ પર કાદવ-કીચડ જામી ગયો છે. અને ઢોળાવવાળા રસ્તા લપસણા બન્યા છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ પરિક્રમમાં વૃદ્ધો, બાળકો અને અસ્વસ્થ લોકોને ન આવવા અપીલ કરી છે. જિલ્લા વહીવટીતંત્રની સમિક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેશે.
આગામી તા, 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે, જોકે દર વર્ષે પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાઈ જતાં તૈયારીઓને બ્રેક લાગી છે તેમજ રદ થવાની પણ શક્યતા છે.
ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને યોગ્ય સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તૈયારી છે, પરંતુ કમોસમી વરસાદના કારણે 36 કિમીનો રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્યતા છે. જેને લઈને તંત્રએ અપીલ કરી છે કે, જ્યાં સુધી નવી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ દરમિયાન ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતાં જોખમી હાલતમાં જણાય છે, ત્યારે પરિક્રમાની ચાલી રહેલી તૈયારી વચ્ચે માવઠું વિધ્ન બન્યું છે. તેવામાં પરિક્રમા યોજાશે કે રદ થશે, આ મામલે જિલ્લા વહીવટીતંત્રની સમીક્ષા બાદ યાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
અગાઉ ગિરનાર લીલી પરિક્રમાને લઈને જિલ્લા કલેક્ટરની કચેરીએ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રિકોને પરિક્રમામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિવિધ સુવિધા મળી રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.


