- એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા ગામ પાસે બન્યો અકસ્માતનો બનાવ,
- કાર અમદાવાદથી સુરત જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત,
- કારમાં સવાર બે પ્રવાસીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
વડોદરાઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ લક્ષ્મીપુરા ગામ નજીક સર્જાયો હતો. સુરતથી અમદાવાદ તરફ પૂર ઝડપે જતી કાર ઓવરટેક કરવા જતા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા ગામ પાસે અમદાવાદ તરફ પૂરઝડપે જતી કારના ચાલકે ઓવરટેક કરવા જતા સ્ટિંયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ટ્રકની પાછળ ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતને લીધે હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. હાલ પાદરા CHC ખાતે મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બંને ઇજાગ્રસ્તને સારવાર પણ આપવામાં આવી રહી છે. આ અકસ્માતમાં મૃતકોના નામ મેહુલભાઈ જયંતીભાઈ ગલાણી, ઉંમર 27, રહે, કતારગામ સુરત, અને અશ્વિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ, ઉંમર 48, રહે. નીલકંઠ એવન્યુ, સુરત હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે ઈજાગ્રસ્તોના નામ પ્રશાંતભાઈ પ્રવીણચંદ્ર ઘામેચા, રહે અમરોલી, સુરત અને ઉમેશભાઈ નારાયણભાઈ વિરાણી, રહે. વેલેન્ઝા, ઉમરા, સુરત હોવાનું જાણવા મળ્યુ છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત ઉમેશભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સવારે અમે અમદાવાદ જઈ રહ્યા હતા એ સમયે સવારે 8 વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે. મૃતક મેહુલભાઈ અને અશ્વિનભાઈ મૂળ અમરેલી અને જામનગરના છે પણ તેઓ હાલ સુરતમાં રહેતા હતા.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગઈકાલે પણ સરસવાણી ગામ પાસે અકસ્માત થયો હતો અને આજે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર લક્ષ્મીપુરા ગામ પાસે અકસ્માત થયો છે. ઉલ્લેખનીય છે કે બંને અકસ્માતના સ્થળ વચ્ચે 20 કિમીનું અંતર છે


