
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં લાહોર નજીક એક ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 મુસાફરો ઘાયલ થયા હતા. પાકિસ્તાન રેલવેના જણાવ્યા અનુસાર લાહોરથી રાવલપિંડી જઈ રહેલી ઈસ્લામાબાદ એક્સપ્રેસના 10 ડબ્બા ગઈકાલે સાંજે શેખુપુરાના કાલા શાહ કાકૂ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્લામાબાદ એક્સપ્રેસ અકસ્માત ત્યારે થયો જ્યારે ટ્રેન લાહોરથી રાવલપિંડી જતી હતી. આ અકસ્માતમાં 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘણાં મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતનું કારણ શોધવા અને 7 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અગાઉ વર્ષ 2023માં પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સિંધ પ્રાંતના નવાબશાહમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં લગભગ 30 મુસાફરોના મોત થયા હતા. વર્ષ 1990માં પણ એક ટ્રેન દુર્ઘટનામાં 200થી 300 લોકો મૃત્યુ પામ્યા હતા અને લગભગ 700 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ટ્રેનમાં 1400 લોકોને લઈ જવાની ક્ષમતા હતી, પરંતુ તેમાં 2,000 મુસાફરો હતા. તે દરમિયાન બનેલી આ અકસ્માતને અત્યાર સુધીના સૌથી ખતરનાક અકસ્માતોમાંનો એક માનવામાં આવે છે.