
- આણંદનો યુવક માનતા પુરી કરવા ભમ્મર ઘોડા ગામે ગયો હતો
- NDRFના જવાનોએ મૃતદેહ શોધીને સાવલી પોલીસને સોંપ્યો
- મૃતક યુવાનના પરિવારજનો દોડી આવ્યા
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં પોઈચા (કનોડા) ગામ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલો આણંદનો યુવાન ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ભમ્મર ઘોડા ગામે મેલડી માતાજીની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. માનતા પૂરી કરી પરત ફરતી વખતે પોઇચા ગામ પાસે આવેલા મહીસાગર નદીમાં નાહવા ગયો હતો. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સાવલી તાલુકાના પોઇચા (કનોડા) ગામે પસાર થતી મહીસાગર નદીમાં નાહવા પડેલો એક યુવક તણાઈ ગયો હતો. આ યુવાન માનતા પૂરી કરવા ભમ્મર ઘોડા ગામે આવ્યો હતો. એન.ડી.આર.એફ.ના જવાનોએ મૃતદેહ શોધીને સાવલી પોલીસને આપ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અલ્પેશ પુનમભાઈ તળપદા (રહે. બાંધણી ગામ, તા. પેટલાદ, જિ. આણંદ) સાવલીના ભમ્મર ઘોડા ખાતે મેલડી માતાના મંદિરે માનતા પૂરી કરવા આવ્યો હતો. માનતા પૂરી કરી પરત ફરતી વખતે પોઇચા ગામ પાસે આવેલા મહીસાગર નદીમાં નાહવા ગયો હતો. આ દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થતાં તણાયો હતો.ઘટનાની જાણ સાવલી પોલીસને થતા સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાપતા અલ્પેશની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ સફળતા ન મળતા એન.ડી.આર.એફ.ની મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ આ બનાવની જાણ પરિવારજનોને કરતા પિતા પુનમભાઈ તડપદા સહિત પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. એન.ડી.આર.એફની ટીમ દ્વારા શોધખોળ આદરી હતી અને ભારે જહેમત બાદ અલ્પેશ તડપદાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસ દ્વારા લાશનો કબ્જો લઈ જરૂરી પંચકયાસ કરી મૃતદેહને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. માટે મોકલી આપ્યો હતો.