
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા. તેમણે x હેન્ડલ પર લખ્યું, “આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.” લોકસભાના વિપક્ષન નેતા અને કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના મહાનુભાવોએ પણ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
પીએમ ઈન્ડિયા વેબસાઇટ અનુસાર, ૧૪ નવેમ્બર, ૧૮૮૯ના રોજ અલ્હાબાદમાં જન્મેલા પંડિત નેહરુએ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ૧૯૧૨માં ભારત પાછા ફર્યા બાદ, તેઓ સીધા રાજકારણમાં જોડાયા.
૧૯૧૬માં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા. પંડિત નેહરુ સપ્ટેમ્બર ૧૯૨૩માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ બન્યા. ૧૯૨૮માં લખનૌમાં સાયમન કમિશન વિરુદ્ધ એક સરઘસનું નેતૃત્વ કર્યું. તે જ વર્ષે ભારતીય સ્વતંત્રતા લીગની સ્થાપના થઈ.
આઝાદી પછી, તેઓ દેશના પહેલા વડા પ્રધાન બન્યા. ૧૯૬૪નું વર્ષ નેહરુ માટે સારું નહોતું. જાન્યુઆરીમાં ભુવનેશ્વરમાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. આ પછી તેમની તબિયત સતત બગડતી રહી. આ કારણે, લાલ બહાદુર શાસ્ત્રીને તેમનું મોટાભાગનું કામ જોવું પડ્યું. આ વર્ષે 27 મેના રોજ તેમનું અવસાન થયું.