
- લીંબડી હાઈવે પર રળોલના પાટિયા પાસે બે કાર અથડાતા બેના મોત
- ચોટિલા પાસે રિક્ષા અને પીકવાન વચ્ચેના અકસ્માતમાં મહિલાનું મોત
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. દરમિયાન અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ બે અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવ લીંબડી નજીક રળોલ ગામના પાટિયા પાસે 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોને ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન 2નાં મોત થયા હતા. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ચોટીલા પાસે બન્યો હતો. જેમાં રિક્ષા અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતા મહિવાનું મોત નિપજ્યું હતું.
પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, લીંબડીના પાણશીણા ગામે રહેતા બળદેવભાઈ પુરબિયા પત્ની જશુબેન, મહેમાન તરીકે આવેલા છનાભાઈ, જીલાબેન, ચંદુભાઈ, મંજુલાબેન ઈકો કાર લઈ પરનાળા ગામે જઈ રહ્યા હતા. ત્યારે લીંબડી હાઈવે પર રળોલ ગામના પાટિયા પાસે ડિવાઈડર પર તેમની કાર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે ટોકરાળા ગામના અંડરબ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે આવેલી કારે બળદેવભાઈની કારની ટક્કર વાગતાં બળદેવભાઈની કાર રોડની બાજુમાં પાણી ભરેલા ખાળિયામાં ખાબકી હતી. ઈકો કારમાં સવાર તમામને ઈજા પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન જશુબેન પુરબિયા અને ચંદુભાઈનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પાણશીણા પોલીસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે..
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, ચોટીલા હાઈવે પર સપના હોટલ પાસે સવારે કાળાસર ગામે જવા રિક્ષાચાલક જયંતીભાઈ વીરજીભાઈએ ચોટીલાથી રેખાબેન ચૌહાણ, કુંતલબેન બથવાર, હેમીબેન મકવાણા, કાજલબેન મકવાણા અને જીવુબેન ચૌહાણને રિક્ષામાં બેસાડી જતા હતા. દરમિયાન સપના હોટલ પાસે રિક્ષા પાછળ બોલેરો પીક અપ વાન અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં જીવુબેન અણદાભાઈ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની જાણ થતા ઇજાગ્રસ્તના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતાં.