
- ડિજિટલ ગુજરાત’અંતર્ગત બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી
- ગાંધીનગર તાલુકામાં 2334 અરજીઓ મંજુર કરાઈ
- વિધાનસભામાં સરકારે આપી માહિતી
ગાંધીનગરઃ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધતા ખેતીની જમીન બીન ખેતીમાં તબદીલ કરવાનું પ્રમાણ પણ વધતું જાય છે. સરકાર દ્વારા બિન ખેતીની અરજીઓને ઓનલાઈન મંજુરી આપવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેતીને બીનખેતીમાં તબદીલ કરવા માટેની 4115 અરજીઓને મંજુરી આપવામા આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ 2018થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં 4115 બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી રાજપૂતે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં બિનખેતી-NA માટે કુલ 96632 અરજીઓ આવી હતી. જે પૈકી ગાંધીનગર તાલુકાની 2334 દહેગામ તાલુકાની 344 કલોલની 1159 તેમજ માણસા તાલુકામાં 278 એમ કુલ 4115 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ સિવાયની અરજીઓ પૂરતા પ્રમાણમાં જરૂરી પુરાવા-કાગળો ન હોવાથી દફતરે કરવામાં આવી છે તેમ, મંત્રી રાજપૂતે ઉમેર્યું હતું. (file photo)