
નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસુસી કરવાના આરોપસર NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ CRPF જવાનની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. CRPF જવાને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે ભૂલથી ફસાઈ ગયો હતો અને તેમાંથી બહાર નીકળી શક્યો ન હતો. આરોપ છે કે CRPF જવાન મોતી રામ જાટે ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલી છે. મોતી રામને આ માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા. જાસૂસીના આરોપી જવાનને CRPF દ્વારા બરતરફ કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, NIA અધિકારીઓએ CRPF જવાનની પૂછપરછ કરી છે. મોતી રામની પૂછપરછ પર એક અધિકારીએ જણાવ્યું હતું કે, “તેના ફોનમાંથી પાકિસ્તાની હેન્ડલર્સની ચેટ મળી આવી છે. તેણે ચેટ ડિલીટ કરી નથી. NIA હવે તપાસ કરશે કે તેણે કંઈ ડિલીટ કર્યું છે કે નહીં. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો છે અને તે પસ્તાવો પણ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તે પાકિસ્તાની હેન્ડલરોની જાળમાં ફસાઈ રહ્યો છે અને બહાર નીકળી શકતો નથી.” CRPF જવાનના ખાતામાં દર મહિને 3000 રૂપિયા આવતા હતા.
રિપોર્ટ અનુસાર, મોતી રામ 2023 થી પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યો હતો. તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી તરફથી પણ ભંડોળ મળ્યું છે. મોતી રામના ફોન ચેટ તેમજ તેના બેંક ખાતામાંથી એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દર મહિને તેના ખાતામાં 3000 રૂપિયા આવતા હતા અને આ રકમ વિદેશી ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ કારણે શંકા વધુ ઘેરી બની હતી.
આરોપી CRPF જવાન સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની એજન્ટ સાથે વાત કરતો હતો. મહત્વની વાત એ છે કે પાકિસ્તાની એજન્ટ મહિલા તરીકે તેની સાથે વાત કરતો હતો. તેણે પહેલા વાતચીત દ્વારા મોતી રામને ફસાવ્યો અને પછી તેને જાસુસી માટે મનાવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, NIA ટીમ હજુ પણ પૂછપરછ કરી રહી છે.