1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં રેસકોર્સને બદલે અટલ સરોવર પાસે જન્માષ્ટમીનો લોકમેળો યોજવાના મુદ્દે વિરોધ
રાજકોટમાં રેસકોર્સને બદલે અટલ સરોવર પાસે જન્માષ્ટમીનો લોકમેળો યોજવાના મુદ્દે વિરોધ

રાજકોટમાં રેસકોર્સને બદલે અટલ સરોવર પાસે જન્માષ્ટમીનો લોકમેળો યોજવાના મુદ્દે વિરોધ

0
Social Share
  • રાજકોટમાં વર્ષોથી રેસકોર્સ પર લોકમેળો યોજવામાં આવે છે,
  • ભાજપના નેતાઓ અટલ સરોવર પર લોકમેળો યોજવાની માગ કરી રહ્યા છે,
  • અટલ સરોવર 7 કિમી દૂર હોવાથી લોકોએ તગડા ભાડા ચૂકવવા પડશે

રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં દરવર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો લોકમેળો રેસકોર્સ પર યોજવામાં આવે છે. લોકમેળાને મહાલવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આ વર્ષે લોકમેળો રેસકોર્સને બદલે અટલ સરોવર પાસે યોજવા ભાજપના ધારાસભ્ય સહિત નેતાઓએ માગણી કરીને ગાંધીનગર રજુઆત કરી છે. તેની સામે વિરોધનો સુર ઊઠ્યો છે. કારણ કે અટલ સરોવર 7 કિમી દુર આવેલું છે. તેથી લોકોએ લોકમેળાના સ્થળે પહોંચવા માટે તગડા ભાડા ચૂકવવા પડશે

રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના પર્વમાં 5 દિવસીય યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો છે. શહેરના રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાતો લોકમેળોના સ્થળ બદલવાને લઈને  વિવાદ થયો છે. શહેરના  રેસકોર્સ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ છેલ્લા એક વર્ષથી આ મેળાનું સ્થળ બદલીને સ્માર્ટ સીટી ગણાતા અટલ સરોવર પાસે યોજવા માટેની માંગણી કરી રહ્યા છે. તેની સામે રાજકોટ શહેરના સમાજ અને નગર શ્રેષ્ઠી પરષોત્તમ પીપળીયા પડ્યા છે. તેમને લોકમેળાનું સ્થળ બદલવા સામે વિરોધ કર્યો છે અને આ મેળો રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં જ યોજવા માટે માંગણી કરી છે.

રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઇને ધારાસભ્ય દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં દર વર્ષે યોજાતા લોકમેળામાં લાખો લોકોની ભીડ ઉમટી પડે છે અને આ દરમિયાન મેળો પણ યોગ્ય રીતે યોજાઇ શકાતો નથી આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેને લઈને વિસ્તારવાસીઓની પણ વર્ષોથી ફરિયાદ છે આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની સંકલન સમિતિમાં છેલ્લા એક વર્ષથી રજૂઆત કરી રહી છું કે લોકમેળાનું સ્થળ રેસકોર્સ મેદાનથી બદલીને અટલ સરોવર પાસે કરવામાં આવે. અટલ સરોવર આસપાસની 90000 સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખાડા વાળી છે તેને સફળ કરવા માટે રાજકોટના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના શહેરી વિકાસ વિભાગ સમક્ષ રૂ. 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે. જે સત્વરે ફાળવવામાં આવે તેના માટે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

જ્યારે આ મામલે રાજકોટના નગર શ્રેષ્ઠી પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, શહેરના રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો આસપાસના ગ્રામજનો અને તાલુકા મથકના લોકો દર વર્ષે માણી રહ્યા છે. જેથી આ મેળા માટે રાજકોટ શહેરની મધ્યમાં આવેલા મેદાન હોય તે આવશ્યક છે એટલે કે રેસકોર્સ અથવા શાસ્ત્રી મેદાનમાં લોકમેળો યોજવો જોઈએ. કારણકે ગરીબ વર્ગના લોકોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ન કરવો પડે. જો રાજકોટ શહેરની બહાર એટલે કે સાત કિલોમીટર દૂર લોકમેળો યોજવામાં આવે તો ગરીબ લોકોને તગડા રિક્ષા ભાડા ચૂકવવા પડે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હાલ બે છેડા ભેગા કરવા પણ ખૂબ જ મુશ્કેલ બન્યા છે ત્યારે જન્માષ્ટમીનો લોકમેળો બહાર લઈ જવાને બદલે હાલ જે જગ્યાએ યોજાય છે તે રેસકોર્ષ મેદાન અથવા તો શાસ્ત્રી મેદાનમાં જ યોજાવો જોઈએ. રેસકોર્સ મેદાનમાં લોકમેળો યોજાય છે ત્યારે તેની નજીક જ ફાયર સ્ટેશન આવેલા છે આ ઉપરાંત સરકારી હોસ્પિટલ પણ નજીક આવેલી છે. પોલીસ સુરક્ષાની દ્રષ્ટિએ પણ લોકમેળો રેસકોર્સ મેદાનમાં યોજાય તે હિતાવહ છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code