
- ઉપલેટા મામલતદારે મોડી રાત્રે ખાનગી વાહનોમાં રેડ કરી,
- 18 લાખનો સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો,
- એક ફ્લેટમાં પણ અનધિકૃત જથ્થો રખાતા દરોડો પાડાયો
રાજકોટઃ સસ્તા અનાજની દૂકાનો પર રેશનકાર્ડધારકોને બાયોમેટ્રિક્સ સહિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે કે, જેથી દૂકાનદારો બારોબાર રેશનિંગનું અનાજ ગ્રાહકો સિવાય અન્યને વેચી શકે નહી. પણ આમ છતાંયે રેશનિંગની દૂકાનોમાંથી કે પુરવઠાના ગોદામોમાંથી બારોબાર અનાજ કાળા બજારમાં પહોંચી જતું હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને આપવામ આવતું અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કોભાંડ વધુ એક વખત ઝડપી પાડવામાં આવ્યું છે. ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખાનગી વાહનોમાં મોડી રાત્રે રેડ કરી ઉપલેટા શહેરમાં એક ગોડાઉનમાં રાખવામાં આવેલો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપલેટાના મામલતદારના કહેવા મુજબ થોડા સમય પહેલા ઉપલેટાના કોલકી રોડ પરથી સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેની પૂછપરછ કરવાથી ધોરાજીમાં પણ આ રીતે જથ્થો બારોબાર વેચવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું જે જગ્યાએ પણ રેડ કરતા મોટાં પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉપલેટા શહેરમા પણ સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવે છે અને આ કૌભાંડીઓ અનાજનાં જથ્થાની હેરફેર માટે સરકારી વાહનોની રેકી કરતાં હોવાથી અલગ અલગ ટિમો બનાવી ખાનગી વાહનોમાં રેડ કરવા સૂચના આપી હતી. જેથી, પાંચથી છ કલાકની મહેનત બાદ ઉપલેટા શહેર ખાતે એક ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
આ રેડ દરમિયાન ભાદર રોડ પરના સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓસમાણભાઈ વિંધાણી દ્વારા રાખવામાં આવેલો લાખો રૂપિયાનો સરકારી અનાજનો અનઅધિકૃત જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં ત્રણ વાહનોમાંથી અનાજનો જથ્થો તેમજ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો મળી કુલ 1100 કિલોથી વધુ ઘઉં, ચોખા, અને ચણાનો જથ્થો જેમની કિંમત 3.18.916 રૂપિયા તેમજ ત્રણ વાહનો અને એક વજન કાંટા સહિત કુલ 4.32.916 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી અનાજનો જથ્થો જમા કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનાના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હોય. જેથી, આ જથ્થો ઉંચા ભાવે બારોબાર વેચી દેવાની જાણ થતા મામલતદાર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં કૌભાંડ આચરનાર લોકો સરકારી અધિકારીઓ પર વોચ રાખતા હોવાથી ખાનગી વાહનોમાં રેડ કરવા સૂચના આપી હતી જેમાં રેડ સફળ થતા મોટી માત્રામાં સરકારી અનાજનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.