
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય
નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં લગભગ યોજાવાનું નક્કી છે. બોર્ડની ભલામણના આધારે આગામી 26 નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનાર કોમનવેલ્થ સ્પોર્ટ્સની મહાસભામાં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.
કોમનવેલ્થ ગેમ્સની એક્ઝીક્યુટિવ બોર્ડ દ્વારા અમદાવાદને યજમાની આપવાની ભલામણ માટેના અનેક કારણો આપ્યા છે. સમિતિએ વિવિધ માપદંડોના આધારે ઉમેદવાર શહેરોનું મૂલ્યાંકન કર્યું છે. આ મૂલ્યાંકનમાં ટેકનિકલ વ્યવસ્થા, ખેલાડીઓનો અનુભવ, માળખાગત સુવિધાઓ, તંત્ર અને કોમનવેલ્થ ગેમ્સ વચ્ચેના સંબંધોના આધારે આ નિર્ણય લેવાયો છે. જોકે યજમાનીની રેસમાં હજુ એક દેશ સામેલ છે. કોમનવેલ્થ ગેમ્સ નાઇજીરીયાની રાજધાની અબુજામાં યોજવાનો પ્રસ્તાવ પણ સામે આવ્યા છે. અમદાવાદ અને અબુજા બંનેએ પ્રભાવશાળી પ્રસ્તાવો રજૂ કર્યા છે. જોકે બોર્ડે અમદાવાદની દરખાસ્તને પ્રાથમિકતા આપી છે.
કોમનવેલ્થ બોર્ડના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, આ સફળતાનો શ્રેય વડાપ્રધાનના નિરંતર પ્રયાસોને જાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ નિર્ણયને ગુજરાત તથા ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ ડૉ.પી.ટી.ઉષાએ 100મા કોમનવેલ્થ ગેમ્સને ગેમ્સ ફોર ધ ફ્યુચર ગણાવતા કહ્યું હતું કે અમદાવાદની કોમનવેલ્થ ગેમ્સ સ્થિરતા, સર્વસમાવેશિતા અને નવીનતા પર આધારિત રહેશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ પણ આ રમતોત્સવનું આયોજન દરેક માટે ગર્વની બાબત ગણાવી હતી.
જો વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાની મળશે, તો ભારતને બીજી વખત કોમનવેલ્થ ગેમ્સ યોજવાનું ગૌરવ મળશે. આ પહેલા ભારતે 2010માં નવી દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કર્યુ હતું.