1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના તડકેશ્વર ગામે લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી તૂટી પડી, 3 શ્રમિકોને ઈજા
સુરતના તડકેશ્વર ગામે લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી તૂટી પડી, 3 શ્રમિકોને ઈજા

સુરતના તડકેશ્વર ગામે લોકાર્પણ પહેલા જ પાણીની ટાંકી તૂટી પડી, 3 શ્રમિકોને ઈજા

0
Social Share

સુરત,19 જાન્યુઆરી 2026: જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોને ઈજાઓ થઈ હતી. પાણીની નવી બનાવેલી ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન ટાંકી તૂટી પડતા 9 લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું. કામગીરીની મજબૂતી તપાસવા માટે તેમાં 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ, ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ઝીલી શકી નહોતી. જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. પાણીની ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકોને ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ટાંકી ધરાશાયી થતાં જ અંદર રહેલું 9 લાખ લિટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. પૂર જેવો પ્રવાહ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી.

આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. લોકાર્પણ પહેલા જ ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી જમીનદોસ્ત થતા હવે જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code