આણંદ,18 જાન્યઆરી 2026: રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે ત્યારે વટામણ-તારાપુર હાઈવે પર બે ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો.વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર ગત મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં બંને ટ્રકો બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વટામણ-તારાપુર હાઈવે પર ફતેપુરા બ્રિજ પર બે ટ્રકો સામસામે અથડાઈ હતી. એક ટ્રકમાં કોટન કપડાંનો જથ્થો ભરેલો હતો, જ્યારે બીજી ટ્રકમાં જ્વલનશીલ લિક્વિડ પદાર્થ હોવાનું જાણવા મળ્યું છે. લિક્વિડ અને કોટનના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે બંને ટ્રક ચાલકોને બચાવ કામગીરીની તક મળે તે પહેલા જ આખેઆખી ટ્રકો આગની લપેટમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મોડી રાત્રે લાગેલી આ આગને ઓલવવા માટે ફાયર ફાયટરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કોટન અને લિક્વિડના કારણે આગ વારંવાર ભભકી ઉઠતી હતી, જેના પર કાબુ મેળવવા કલાકો સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
તારાપુર હાઈવે પર ફતેરપુરા બ્રિજ પર જ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને ટ્રકમાં આગ લાગતા હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. પોલીસે હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવાની અને વાહનોને સુરક્ષિત અંતરે રાખવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ભયાનક આગમાં જાનહાનિના કોઈ અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ માલસામાનનું ભારે નુકસાન થયું છે.


