અમદાવાદ, 24 જુન 2026 : Picturesque view created by the two banks of the Sabarmati River શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજના દરવાજાની કામગીરી માટે નદી ખાલી કરવામાં આવી હતી. હવે વાસણા બેરેજના દરવાજાની કામગીરી પૂર્ણ થતાં ગઈકાલે સાબરમતી નદી નર્મદાના પાણીથી ભરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટ પર નદી બન્ને કાંઠે ભરાયેલી હોવાથી નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે.
શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી નદીને નર્મદાના નીરથી ભરી દેવાતા આહલાદક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાને લઇ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને તેના લીધે નદી બંને કાંઠે છલોછલ જોવા મળી રહી છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામને કારણે નદી ખાલી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની 29મી જૂને જળયાત્રા નીકળવાની છે એ પૂર્વે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. પરંપરાગત જળયાત્રા સાબરમતી નદી ભુદરના આરેથી પ્રારંભ થતો હોય છે. સાબરમતી નદીમાંથી 108 કળશ જળ ભરવામાં આવે છે અને એ નદીના જળથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે. આ જળયાત્રાના આયોજનને લઈને સાબરમતી નદીને ફરી પાણીથી ભરવામાં આવી છે. ગત એપ્રિલ માસથી સાબરમતી નદી પર બનેલા વાસણા બેરેજના દરવાજાના રીપેરીંગની કામગીરીના કારણે સાબરમતી નદીને ખાલી કરવામાં આવી હતી.
શહેરના સાબરમતી નદીમાં ફરી નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે. વાસણા બેરેજના દરવાજા રિપેરીંગની સાથે સાથે સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. નદી ખાલી થતા નદીમાં નાખવામાં આવેલો કચરો અને પાણીમાં ઊગી નીકળેલી વેલ હટાવી નદીના પટને સાફ કરવામાં આવ્યો હતો. હવે 35 દિવસની કામગીરી પૂર્ણ થતાં અને જળયાત્રાના આયોજનને લઈને અને ચોમાસા પૂર્વે નદીને ફરી પાણીથી ભરવામાં આવી છે. હાલ પાણીથી નદી છલોછલ થતા સાબરમતી નદીનું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે.


