- અમદાવાદમાં વર્ષ 2012માં 6.18 લાખ વૃક્ષો નોંધાયા હતા,
- શહેરના ગ્રીન કવર વિસ્તારમાં થયો વધારો,
- ખાડિયામાં 782 અને કૂબેરનગરમાં માત્ર 209 વૃક્ષો
અમદાવાદઃ શહેરમાં વૃક્ષોથી આચ્છાદિત કરીને ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે. શહેરમાં હાલ વૃક્ષોની ગણતરી કરવામાં આવી છે. શહેરમાં 9.91 લાખ વૃક્ષો છે. જેમાં નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1.80 લાખ વૃક્ષ અને દરિયાપુર વોર્ડમાં સૌથી ઓછા 651 વૃક્ષો છે. જોકે વૃક્ષોની વસતી ગણતરી પ્રમાણે ખાડિયામાં 782 અને કૂબેરનગર વોર્ડમાં તો માત્ર 209 વૃક્ષો હૈયાત છે.
અમદાવાદ શહેરમાં વર્ષ-2012 પછી પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ ગણતરીની કામગીરી એક ખાનગી એજન્સી પાસે કરાવવામા આવી રહી છે. અત્યાર સુધીમા વૃક્ષ ગણતરીને લઈ કરવામા આવેલી કામગીરીની સામે આવેલી વિગત મુજબ નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ 1.80 લાખ વૃક્ષ મળી આવ્યા છે. દરિયાપુર વોર્ડમાં સૌથી ઓછા 651 વૃક્ષ મળી આવ્યા છે. વૃક્ષ ગણતરીની કામગીરી પુરી થયા પછી કયા વોર્ડમાં કેટલા વૃક્ષ કેટલા વર્ષ જુના છે,તેની ઉપયોગીતા શુ છે તે અંગેની વિગત જાહેર કરવામા આવશે. આ વર્ષની વૃક્ષ ગણતરીમાં 47 વોર્ડમાં કુલ 9.91 લાખ વૃક્ષની ગણતરી પુરી કરાઈ છે. વર્ષ-2012મા શહેરમાં કુલ 6.18 લાખ વૃક્ષ હતા. એ સમયે શહેરનો ગ્રીન કવર એરીયા 4.66 ટકા હતો.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ વર્ષ-2025-26માં અમદાવાદમાં 40 લાખ જેટલા રોપાં અને વૃક્ષો વાવવા પાછળ 69 કરોડ રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં વાવવામા આવતા રોપા પૈકી 60 ટકા રોપા યોગ્ય માવજત કે પાણી નહીં મળવાના કારણે સુકાઈ જતા હોવાનો તંત્ર દ્વારા જ સ્વીકાર કરવામા આવ્યો છે. આ વર્ષના આરંભે ફલાવરશોના આરંભની સાથે રાજયના મુખ્યમંત્રી દ્વારા અમદાવાદમાં વૃક્ષ ગણતરી કામગીરી શરુ કરાવવામા આવી હતી. દરેક વૃક્ષને તેના નામ સાથેની વિગત તથા જી.પી.એસ.પધ્ધતિથી કનેકટીવીટી આપવાની પણ જાહેરાત કરાઈ હતી.તંત્રનો એવો દાવો પણ છે કે એક વખત દરેક વૃક્ષને જી.પી.એસ. પધ્ધતિથી કનેકટિવીટી અપાયા પછી કોઈ જો પરવાનગી વગર વૃક્ષ કાપશે તો પણ તંત્રને ગણતરીની મિનીટોમા આ અંગેની જાણ થઈ જશે.
અમદાવાદ શહેરના 47 વોર્ડમાં કૂલ 9.91 લાખ વૃક્ષો નોંધાયા છે. જેમાં નવરંગપુરા 180133, ગોતા વિસ્તારમાં 64058 વૃક્ષો, થલતેજ વિસ્તારમાં 63076 વૃક્ષો, નરોડામાં 61497 વૃક્ષો, નિકોલ વિસ્તારમાં 54536, બોડકદેવ વિસ્તારમાં 49296 વૃક્ષો, નારણપુરા વિસ્તારમાં 45113 વૃક્ષો, સાબરમતી વિસ્તારમાં 25273, જોધપુર વિસ્તારમાં 11209 વૃક્ષો, અસારવામાં 34357 વૃક્ષો, શાહીબાગ વિસ્તારમાં 17699 વૃક્ષો, પાલડી વિસ્તારમાં 20210 વૃક્ષો, વાસણા વિસ્તારમાં 10447 વૃક્ષો, મણીનગર વિસ્તારમાં 28605 અને વસ્ત્રાલ વિસ્તારમાં 26600 વૃક્ષો, ખોખરા વિસ્તારમાં 28533 વૃક્ષો, દરિયાપુર વિસ્તારમાં 651 વૃક્ષો, ખાડીયા વિસ્તારમાં 782 વૃક્ષો, તેમજ દાણીલીમડામાં 914 અને કુબેરનગરમાં 209 તથા ઈન્દ્રપુરી 1046 , ભાઈપુરા 1125 અને વેજલપુર વિસ્તારમાં 1103 વૃક્ષો નોંધાયા છે.


