સુરેન્દ્રનગર, 22 જાન્યુઆરી 2026: ગુજરાત સરકારે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવી છે. જ્યારે ખેતી કામ કરતા ભાગીયા અને ખેત મજુરોને પણ સહાય આપવાની માગ સાથે સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોએ અધિકાર પદયાત્રા યોજી હતી. અને જમીન માલિકોને અપાતી સહાયના ૩૦ ટકા રકમ ખેત મજૂરને ચૂકવવાની માગ કરી છે. ખેત મજૂરોની માંગ છે કે પાક નિષ્ફળ જાય ત્યારે મજૂરોની હાલત પણ કફો ડ બની છે. જોકે, સરકાર ઉકેલ નહીં લાવે તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી ખેત મજૂરો દ્વારા ઉચ્ચારાઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આદિવાસી પરિવાર મજૂર સંગઠન દ્વારા ખેત મજૂરોના અધિકાર માટે પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેત મજુરો જોડાયા હતા. શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ યાત્રામાં સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ પ્રદર્શિત કરાયા હતા. ખેત મજૂરોએ જણાવ્યું કે કુદરતી આફતો વખતે સરકાર માત્ર જમીન માલિકોને જ સહાય આપે છે, પરંતુ ખેતીમાં તનતોડ મહેનત કરતા ભાગીદાર ખેત મજૂરોને વળતરથી વંચિત રાખવામાં આવે છે. સંગઠને માંગ કરી છે કે ખેડૂતોને અપાતી સહાય ઉપરાંત ખેત મજૂરો માટે અલગથી ૩૦ ટકા રકમનું વિશેષ પેકેજ જાહેર કરવું જોઈએ.
જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, અનુસૂચિત જાતિ, આદિવાસી અને પછાત વર્ગના હજારો પરિવારો ખેતી પર નભે છે. પાક નિષ્ફળ જાય ત્યારે તેમની હાલત કફોડી બની જાય છે. જો સરકાર આગામી દિવસોમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય કે નીતિગત ઉકેલ નહીં લાવે, તો સુરેન્દ્રનગરથી ગાંધીનગર સુધીની ‘અધિકાર પદયાત્રા’ યોજવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


