
પ્રયાગરાજઃ જસ્ટિસ યશવંત વર્માને દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાના વિરોધમાં અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશન મંગળવારે અનિશ્ચિત હડતાળ ઉપર ઉતર્યું છે. હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ તિવારી હડતાળ ઉપર ઉતરેલા વકીલોનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “આ વિરોધ કોઈ કોર્ટ કે ન્યાયાધીશ વિરુદ્ધ નથી પરંતુ ન્યાયિક પ્રણાલી સાથે દગો કરનારાઓ વિરુદ્ધ છે.”
તેમણે કહ્યું હતું કે, “અમારી લડાઈ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો અને પારદર્શક ન હોય તેવી વ્યવસ્થા સામે છે. હાલમાં, અમારી માંગ ટ્રાન્સફર ઓર્ડર પર પુનર્વિચાર કરવાની અને તેને પાછો ખેંચવાની છે.” દિલ્હી હાઈકોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ન્યાયાધીશ યશવંત વર્માના પ્રસ્તાવિત ટ્રાન્સફરના વિરોધમાં બાર એસોસિએશને ફરી એકવાર અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
એસોસિએશનના પ્રમુખ અનિલ તિવારીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટ બાર એસોસિએશન આ મુદ્દા પર અંત સુધી લડવાના મૂડમાં છે. સોમવારે, તેમણે આરોપ લગાવ્યો હતો કે, “આ કેસ શરૂઆતથી જ લીપાપોથી કરવામાં આવી રહી છે. આજે, વકીલો ભારતમાં આ લડાઈ લડી રહ્યા છે. વકીલો આગામી ઉકેલ સુધી કામ કરશે નહીં અને અમે કોઈપણ પરિણામ ભોગવવા તૈયાર છીએ.”