
- 300 જેટલા અરજદારોનું સબમિશન ન થતા ઉગ્ર બોલાચાલી થઈ,
- અરજદારોએ એપોઇમેન્ટ રિશિડ્યુલ કરવી પડી,
- પાસપોર્ટ કચેરીએ વર્ઝન 2. 0 શરૂ કર્યાં બાદ વારંવાર સર્જાતી સમસ્યા
અમદાવાદઃ શહેરના બે પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અગાઉથી ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને આવેલા અરજદારોને સર્વર ઠપ હોવાથી પરત ફરવાની ફરજ પડી હતી. પાસપોર્ટ કચેરીએ વર્ઝન 2.0 શરૂ કર્યાં બાદ વારંવાર સિસ્ટમમાં ટેક્નિકલ એરર આવી રહી છે. શહેરના વિજય ચારરસ્તા અને મીઠાખળી સ્થિત આવેલા બે પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે) પર સવારે 9થી 12 વાગ્યા સુધી એપોઈમેન્ટ હતી તેવા 300 જેટલા અરજદારોનું સબમિશન ન થતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. આખરે કંટાળીને ઘણા અરજદારોએ ધરમ ધક્કો ખાવો પડ્યો હતો અને એપોઇમેન્ટ રિશિડ્યુલ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદના પાસપાર્ટ સેવા કેન્દ્રો પર અગાઉથી એનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને દુર દુરથી આવેલા અરજદારો સવારે કેન્દ્રો પર પહોંચ્યા બાદ સર્વર ડાઉન હોવાની જાણ કરવામાં આવી હતી. બે કલાકની પ્રતિક્ષા બાદ પણ સર્વર ચાલુ ન થતાં અરજદારોની મુલાકાત રિ-શેડ્યુલ કરવામાં આવી હતી. જોકે બપોરે બાર વાગ્યા બાદ સર્વર શરૂ થઈ જતા પાસપોર્ટના દસ્તાવેજ સબમિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. હજુ આગામી ત્રણ મહિના સુધી સર્વરમાં ટેકનિકલ ખામીની સમસ્યાઓ સર્જાતી રહેશે. જે અરજદારોનું સબમિશન થયું નથી તેમને નોર્મલ કેસમાં એપોઇમેન્ટ લીધી છે. હવે તેમને પંદર દિવસ બાદ નવી તારીખ રિશેડ્યુલ કરવી પડશે જોકે તત્કાલમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી તેમને બીજા દિવસની એપોઇમેન્ટ રિશિડ્યુલ થઈ ગઈ છે.
સૂત્રોના કહેવા મુજબ હાલમાં વિજયચાર ચાર રસ્તા પીએસકેની ઑનલાઇન એપોઇમેન્ટ બતાવવામાં આવી રહી છે પણ મીઠાખળી કેન્દ્રની મળતી નથી જેનું કારણ એ છે કે પાસપોર્ટ સેવા કેન્દ્ર બંધ કરીને નવા બાપુનગર ખાતે ખસેડવામાં આવનાર હોવાથી એપોઈમેન્ટ સિસ્ટમ પર ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાસપોર્ટ કચેરીમાં થોડા સમય અગાઉ જ નવું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.