
- માતા અને તેની દીકરીને ગંભીર ઈજા થતાં અમદાવાદ ખસેડાયા
- સ્થાનિક લોકોએ જામસર ચેકડી પર કર્યો ચક્કાજામ
- પૂરફાટ ઝડપે અને બેફામ દોડતા વાહનોને નિયંત્રણ કરવા માગણી
મોરબીઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વાંકાનેરના જામસર ચોકડી હાઈવે પર સર્જાયો હતો. વાંકાનેર તાલુકાની જામસર ચોકડી પાસે સવારે 11 વાગ્યે કુંવરજીભાઈ રાતોજા (ઉં.વ.31) પોતાના પરિવાર સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે આવેલા એક ડમ્પરે બાઈકને અડફેટે લીધું હતું. આ અકસ્માતમાં કુંવરજીભાઈના 6 વર્ષીય પુત્ર સુરેશનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કુંવરજીભાઈની પત્ની જાનાબેન (ઉ.વ. 30)ને અને 8 વર્ષીય પુત્રી આસુબેનની ગંભીર હાલત હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ જામસર ચોકડી પર ચક્કાજામ કર્યો હતો અને ભારે વાહનોની અવરજવર રોકી દીધી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જામસર ચોકડી પાસે સવારે 11 વાગ્યે કુંવરજીભાઈ રાતોજા (ઉં.વ.31) પોતાની પત્ની અને બાળકો સાથે બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર કુંવરજીભાઈ અને તેમના પત્વી અને બાળકો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં કુંવરજીભાઈના 6 વર્ષીય પુત્ર સુરેશનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કુંવરજીભાઈની પત્ની જાનાબેન (ઉ.વ. 30)ને અને 8 વર્ષીય પુત્રી આસુબેનની ગંભીર હાલત હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતને લીધે જામસર ગામના લોકો દોડી આવ્યા હતા. અને પૂરફાટ ઝડપે અને બેફામ ચલાવાતા વાહનચાલકો સામે કોઈ પગલાં લેવામાં આવતા નહોવાથી ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. દરમિયાન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સ્થાનિક લોકોના કહેવા મુજબ, આ વિસ્તારમાં ડમ્પર ચાલકો નિયમિતપણે ઓવર સ્પીડમાં અને ઓવરલોડ માલ સાથે વાહન ચલાવે છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. લોકોએ આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. વાંકાનેર પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.