
- વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસે કરી રજુઆત,
- લોકોના ટેક્સના પૈસાથી ચાલતી વિધાનસભાની કાર્યવાહી જાણવાનો લોકોનો હક
- દેશના 28 રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે,
- ૩૦ વર્ષના શાસનની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચી જશે એ વાતનો ભાજપને ડર છે
ગાંધીનગરઃ દેશના 28 રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થતું હોય અને માત્ર ગુજરાત વિધાનસભામાં જ જીવંત પ્રસારણ (LIVE) થતું ન હોવા મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરીને લેખિતમાં પત્ર સ્વરૂપે રજૂઆત કરી હતી અને ત્યારબાદ ગૃહમાં પણ રજુઆત કરીને વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માગ કરી હતી.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરીને રજુઆત કરી હતી કે રાજ્યના વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહી થાય છે એ લોકો સુધી પહોંચવી જોઈએ, દેશના 28 રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે, લોક સભા – રાજ્યસભાનું પણ જીવંત પ્રસારણ થાય છે. વિધાનસભા ગૃહમાં હાજર મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોરતા ચાવડાએ અધ્યક્ષને સંબોધન કર્યું હતું કે આપણે અહીં છુપાવવા જેવું કઈ છે નહીં, જેથી દરેક સભ્યને રજૂઆતના વિડિયો મળે. આ ગૃહમાં લાંબા સમયથી સભ્યોની રજૂઆત રહી છે કે ગૃહમાં પ્રજાના પ્રશ્નોની જે કઈ રજૂઆત થાય છે ચર્ચા થાય છે તેના વીડિયો એ લોકોને મળવા જોઈએ, પરંતુ એ બાબતે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે રાજ્ય સરકારના માહિતી ખાતા ધ્વારા લોકશાહીના ધબકારાના નામે માત્ર સરકારની વાહવાહીના જ અંશો દર્શાવામાં આવે છે.ચોક્કસ લોકોના જ વીડિયો મળે, એક જ તરફી રજુઆત લોકો સુધી પહોંચે અને લોકશાહીના ધબકારા ધ્વારા જે માહિતી પ્રિન્ટ, વિડિયો, ઇલેક્ટ્રોનિક મીડિયા સુધી પહોંચે છે એમાં પણ અન્યાય થાય છે, પક્ષપાત થાય છે. એમાં પણ એક જ તરફી વર્ઝન જતું હોય છે. આ લોકશાહીના ધબકારા સમાચાર રૂપે નહી પરંતુ પૈસા ખર્ચીને બતાવવામાં આવે છે. આ લોકશાહીના ધબકારામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની રજુઆતો દર્શાવવામાં આવતી નથી કે રાજ્ય મુદ્દે થયેલી ગંભીર વિષયની ચર્ચાઓ પણ દર્શાવવામાં આવતી નથી.
તેમણે આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ધ્યાનમાં આવ્યું કે એક મંત્રી ધ્વારા પોતાનું વિધાનસભાનું પ્રવચન પોતાના સોશીયલ મીડિયામાં મૂકવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીએ 116ની નોટીસમાં જે જવાબ આપ્યા એ વિડિઓ પ્રસારિત કરવામાં આવ્યો પણ 116 અંગેની નોટિસ આપનારા કોંગ્રેસ પક્ષની રજુઆત લોકો સુધી ન પહોંચી, અમારી માંગણી છે કે ગુજરાતની જનતા સાચી હકીકતો જોઈ શકે – જાણી શકે તે માટે વિધાનસભા ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવે અને ધારાસભ્યોને પોતાના પ્રવચનો- ચર્ચાના વિડીઓ આપવામાં આવે.