ભાવનગર પંથકમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ભાવનગર, 6 ફેબ્રુઆરી 2026: ગુજરાતમાં સૌથી વધુ ડૂંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા અને તળાજા તાલુકામાં આ વર્ષે પણ ડૂંગળીનું મબલખ ઉત્પાદન થયું છે. પણ ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવનગર શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં એકાએક ડુંગળીના ભાવમાં કડાકો થતા ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડવાની નોબત આવી છે. ખેડૂતોને ડુંગળીના ભાવ એટલા નીચા છે કે ખેડૂતોને વાવેતર, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે.
ભાવનગર યાર્ડમાં ડૂંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને વાવેતરનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. જે ડુંગળી 8 દિવસ પહેલા 322 રૂપિયામાં વેચાતી હતી, તેના ભાવ આજે ઘટીને 241 રૂપિયા થઈ ગયા છે. નબળી ગુણવત્તાવાળી ડુંગળી તો માત્ર 100-150 રૂપિયામાં જાય છે, જેમાં ભાડા અને મજૂરીના પૈસા પણ નીકળતા નથી. આ અંગે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “જ્યારે DAP ખાતરની થેલી 500 રૂપિયામાં મળતી હતી, ત્યારે ડુંગળીના ભાવ 500-600 રૂપિયા હતા, આજે ખાતરના ભાવ વધીને 1500 રૂપિયા થઈ ગયા છે, દવા અને મજૂરી પણ મોંઘી થઈ છે, છતાં ડુંગળી 122 રૂપિયામાં વેચાય છે., જો ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા મળે તો જ ખેડૂતને બે પૈસાની કમાણી દેખાય તેમ છે. હાલમાં વીઘે 30થી 35 હજારનો ખર્ચ થાય છે, જેની સામે માત્ર 5થી 7 હજાર રૂપિયા ઉપજી રહ્યા છે.
ખેડૂતોએ પોતાની હૈયા વરાળ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકાર નિકાસની છૂટ આપે કે પછી ખેડૂતોને સહાય આપે, તો જ કામનું છે બાકી ખેડૂત કોઈ રીતે ઊભો રહી શકે એવી સ્થિતિમાં નથી. ભંડારીયા ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, જે ડુંગળી 8 દિવસ પહેલા 322 રૂપિયામાં વેચાતી હતી, તેના ભાવ આજે ઘટીને 241 રૂપિયા થઈ ગયા છે. નબળી ગુણવત્તાવાળી ડુંગળી તો માત્ર 100-150 રૂપિયામાં જાય છે, જેમાં ભાડા અને મજૂરીના પૈસા પણ નીકળતા નથી.


