સુરત, 19 માર્ચ 2026: Gas cylinder blast in embroidery factory શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરતનગરના મારૂતિ ચોક નજીક એબ્રોઈડરીના કારખાનામાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એબ્રોઈડરીના એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનાની અંદર રહેલા બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, અને જ્યારે અન્ય 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરતનગરના મારૂતિ ચોક નજીક એબ્રોઈડરીના કારખાનામાં આજે વહેલી સવારે આગ ફાટી નિકળી હતી, આગ લાગ્યાનો સવારે અંદાજે 05:30 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કાપોદ્રા રચના સર્કલથી આગળ, ગૌશાળા પાસે આવેલા ભરતનગરના મારુતિ ચોક નજીક આગ લાગી છે. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક અલગ-અલગ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર, ઘટનામાં 13 લોકોને ઈજા થઈ હતી, જેમાંથી બેના મોત થયા છે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ઇમારતમાં રહેલા LPG સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કુલ 8 સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બાકીના 6 સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યા છે. આગ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારતમાં લાગી હતી, જ્યાં વિવિધ ખાતાઓ કાર્યરત છે. ત્રીજા માળે પતરાના શેડમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ત્રીજા માળના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ફાયરની ટીમે જીવના જોખમે કુલ 11 વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાંથી 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે બાકીના 9 લોકોને સામાન્યથી મધ્યમ પ્રકારની ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


