અમદાવાદ, 10 મે 2026: Ghar Ghati stole jewelry શહેરના પંચવટી વિસ્તારમાં ઘરઘાટી શંકર પ્રસાદે તેના મિત્રો આકાશ ઠાકુર, અયાઝ ખાન સાથે માલિકના ઘરમાં ચોરીનો પ્લાન કર્યો હતો. ચોરી સમયે ઘરધાટી પોતે બંધક હાલતમાં મળી આવ્યો હતો. જોકે પોલીસની સતર્કતાથી લાખોની ચોરી નિષ્ફળ થઈ છે અને આ મામલે ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે આ કિસ્સામાં બહાદૂરી દેખાડનાર ડ્રાઈવર સન્માનિત કરાયો છે.
શહેરના પોશ વિસ્તારમાં ઘરઘાટી પર વિશ્વાસ રાખવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર પંચવટીમાં ઘરઘાટીએ જ પોતાના માલિકના ઘરમાં ચોરી કરવા ફિલ્મી સ્ટાઈલમાં ષડયંત્ર રચ્યું હતું. પોતાને જ બંધક બનાવી મોઢા પર ટેપ મારી લૂંટનો ડ્રામા કરનાર ઘરઘાટી અને તેના બે સાથીદારોને ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે મકાન માલિકના પિતા અને ડ્રાઈવરની સતર્કતાના કારણે લાખોની ચોરી નિષ્ફળ ગઈ હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે રૂ.26 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ શખસોની ધરપકડ કરી છે. ઘરઘાટીએ પોતાના દિલ્હીના મિત્રો સાથે મળીને ઘરમાંથી કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી અને પોલીસથી બચવા માટે ચોરીનો મુદ્દામાલ કુરિયર મારફતે ફરીદાબાદ મોકલી આપ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 21 વર્ષીય શંકર અગ્નિપ્રસાદ ફરિયાદીના ઘરે નોકર તરીકે કામ કરતો હતો. તેણે દિલ્હીમાં રહેતા તેના મિત્રો આકાશ ઠાકુર અને અયાઝ ખાન સાથે મળીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું. જેમાં ગત 4 મે, 2026ના રોજ જ્યારે પરિવારના સભ્યો ઘરે હાજર નહોતા, ત્યારે આ ટોળકીએ તિજોરી પર હાથ સાફ કર્યો હતો.ચોરી દરમિયાન ફરિયાદીના પિતા અચાનક ઘરે આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. શંકર અને આકાશ પકડાઈ ગયા હતા, પરંતુ અયાઝ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ભાગતા સમયે આકાશે ફરિયાદીના ડ્રાઈવર પર હુમલો કરી તેને ઈજા પણ પહોંચાડી હતી. ધરપકડ બાદ શંકરની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ પણ તેણે ઘરમાંથી ઘરેણાં ચોર્યા હતા અને પકડાઈ જવાના ડરથી તે ઘરેણાં પ્રાઈવેટ કુરિયર સર્વિસ દ્વારા ફરીદાબાદમાં તેના એક પરિચિતને મોકલી આપ્યા હતા.


