1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ નવનિર્મિત કુલ 31 પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ
ગુજરાતઃ નવનિર્મિત કુલ 31 પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ

ગુજરાતઃ નવનિર્મિત કુલ 31 પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ

0
Social Share

ગાંધીનગરઃ પશુપાલન મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ GNLU-ગાંધીનગર ખાતે “‌‌‌‌‌‌‌‌‌પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર એક દિવસીય ટેક્નીકલ સેમીનારનો શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે મંત્રી રાઘવજી પટેલે એક સાથે રાજ્યના 10 જિલ્લામાં રૂ.19.98 કરોડના ખર્ચે નવનિર્મિત કુલ 31 પશુ સારવાર સંસ્થાનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

આ સમારોહ દરમિયાન ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ કૃત્રિમ બીજદાનની તાલીમ પૂર્ણ કરેલા રાજ્યના 217 MAITRI ટેકનીશીયનને (મલ્ટી-પર્પઝ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ટેકનીશીયન ઇન રૂરલ ઇન્ડિયા) કૃત્રિમ બીજદાન માટે જરૂરી 12 સાધન-સામગ્રી ધરાવતી કીટ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુ વીમા યોજના હેઠળ ક્લેમ મંજૂર થયો હોય તેવા લાભાર્થીઓને વીમા હેઠળ મળવાપાત્ર રૂ. 40,000 રકમના ચેક પણ મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંડારેલા પથ પર આગળ વધીને આજે ગુજરાતે પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં રાજ્યના પશુપાલકો ઉપરાંત પશુ સારવાર માટે કામ કરતા રાજ્યના પશુ ચિકિત્સકોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો 25 ટકા છે અને ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતમાં વાર્ષિક 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે.

દૂધ ઉત્પાદન અને પશુ આરોગ્યને સીધો સંબંધ છે, તેમ કહી મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતને દૂધ ઉત્પાદન ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે પશુ સારવાર કેન્દ્ર અને ફરતા પશુ દવાખાના થકી ઘરઆંગણે પશુ આરોગ્ય સુવિધા, પશુ સંવર્ધન માટે રાહત દરે કૃત્રિમ બીજદાન અને IVFની સુવિધા, પશુઓમાં રોગ નિયંત્રણ માટે રસીકરણ અભિયાન, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા, પશુઓના પોષણ માટેની યોજના તેમજ પશુઓના રક્ષણ માટે પશુ વીમા યોજના જેવી અનેકવિધ નવતર પહેલો કરી છે.

આગામી સમયમાં ગુજરાતને પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર રાખવા માટે આજનો સેમીનાર ખૂબ જ મહત્વપૂર્ણ પૂરવાર થશે. સેમિનારમાં નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, પશુ રોગચાળા નિયંત્રણ, પશુ સંવર્ધન જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે. હવેના જમાનામાં પશુ સારવાર એટલે રોગનું નિદાન નહિ, પરંતુ સંભવિત રોગ સામે ટેકનોલોજીની મદદથી આગોતરી તૈયારી છે. મુખ્યમંત્રીના સંકલ્પ અનુસાર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં પશુપાલન ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ સેમિનારને પશુપાલન ક્ષેત્રના બમણા વિકાસ માટે ફળદાયી બનાવવા મંત્રીએ સૌને આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન રાજ્યની વેટરનરી કોલેજોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અવ્વલ આવેલા 31 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ મંત્રીના હસ્તે “સ્ટુડન્ટ ઓફ ધ યર”ની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ મંત્રી દ્વારા ‘ઓલ ગુજરાત વેટરનેરીયંસ સોસીયલ સિક્યુરીટી ટ્રસ્ટ’ના વાર્ષિક અહેવાલ તેમજ ‘ધ ગુજરાત વેટરીનરી ટેક્નીકલ ઓફિસર્સ એસોસિયેશન ડિરેક્ટરી’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.સમારોહના પ્રારંભે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને પશુ સારવાર અંગેના એક દિવસીય ટેક્નીકલ સેમિનારની જરૂરિયાત અને મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ તેમણે, ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં પશુપાલન ક્ષેત્રના યોગદાન અને પશુપાલન ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારના નવતર પ્રયાસોની પણ વિસ્તૃત ભૂમિકા આપી હતી. કાર્યક્રમના અંતે અધિક પશુપાલન નિયામક ડૉ. કિરણ વસાવાએ આભારવિધિ કરી હતી.દિવસ દરમિયાન ચાલેલા વિવિધ ટેક્નીકલ સત્રોમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા આધુનિક પશુ સારવાર અને પશુસંવર્ધન સંબંધિત વિવિધ મુદ્દે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

સાથો સાથ રાજ્યમાં જોવાં મળતા લમ્પી સ્કિન ડિસીઝ રોગચાળા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પશુપાલન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓએ આ રોગના નિદાન, સારવાર અને રસીકરણ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તેમજ પશુપાલન નિયામકએ લમ્પી રોગ અંગે વધુ સતર્કતા રાખવા અને પશુપાલકોને જરૂરી માર્ગદર્શન આપવા ખાસ આહ્વાન કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code