રાજકોટ, 14 જુન, 2026 : Husband stabs Nanaji to death શહેરના વિમલનગરમાં ગઈ મોડી રાત્રે રિસામણે આવેલી પત્નીને લીધે પારિવારિક ઝગડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના નાનાની છરીના ઘા મારીને હત્યા કરી હતી. તેમજ બચાવવા વચ્ચે પડેલા નાનીને પણ ગંભીર ઈજા થઈ હતી. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સહિત પોલીસ કાફલો ધટના સ્થેળે દોડી આવ્યો હતો. દરમિયાન મૃતક પ્રવિણ શાહના પુત્રી તેજલબેન શાહ(પટેલ) અને જમાઈ જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, આરોપીનું પોલીસ સાથે સેટિંગ છે, પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વિમલનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે પારિવારિક ઝઘડામાં પતિએ પત્નીના નાનાની છરીના ઘા ઝીકીને હત્યા કરી હતી. મૂળ વેરાવળના વિવેક ગોસ્વામી નામના શખ્સે પત્ની સાથેના અણબનાવની અદાવતમાં પત્નીના નાના પ્રવિણ શાહ પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતાં. આ હુમલામાં બચાવવા માટે વચ્ચે પડેલા નાનીને પણ ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા, જેમાં નાની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયા હતાં. ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ વેરાવળના રહેવાસી વિવેક ગોસ્વામીને છેલ્લા ઘણા સમયથી તેની પત્ની સાથે ઝઘડો ચાલી રહ્યો હતો, જેને લઇને શનિવારે મોડી રાત્રે આરોપી વિવેક ગોસ્વામી યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલા વિમલનગરમાં પહોંચ્યો હતો. જોકે તે વખતે પત્નીના નાના અને નાની હાજર હતાં. જેથી વિવેકે તેના નાના પ્રવિણ શાહ પર છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. ક્રૂર હત્યાના કારણે નાના લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જ્યારે પત્નીના નાની પર પણ હૂમલો કરતા તેને ગળામાં ઇજા પહોંચી હતી. પતિ અને પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. પતિ પોતાની પત્નીને ઘરે આવવા માટે ધમકી આપતો હતો. હત્યાનો બનાવ બન્યો તે વખતે પત્ની હાજર ન હતી અને તેની પત્ની પુષ્કરધામમાં આવેલા તેના માતાના ઘરે હતી.


