1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પતિ-પત્ની-પુત્રનાં મોત
બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પતિ-પત્ની-પુત્રનાં મોત

બાયડ-અમદાવાદ રોડ પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પતિ-પત્ની-પુત્રનાં મોત

0
Social Share
  • બાઈકસવારનું ઘટના સ્થળે અને પત્ની-પૂત્રના સારવાર દરમિયાન મોત,
  • અકસ્માત બાદ બાઈક સળગી ગઈ,
  • કારચાલક કાર મુકીને નાસી ગયો

મોડાસાઃ બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં બાઈક પર સવાર એક પરિવારના ત્રણ સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ગઈકાલે બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ બાઈક પર પતિ-પત્ની અને તેમનું બાળક જઈ રહ્યાં હતાં ત્યારે પૂરફાટ ઝડપે કાર બાઈક સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેથી બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની અને બાળકનાં સારવાર દરમિયાન મોત થયાં હતાં.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, બાયડ અમદાવાદ હાઈવે પર ગઈકાલે બુધવારના સાંજના સમયે બાઈક પર સવાર થઈને પતિ-પત્ની અને 7 વર્ષિય બાળક ઝઈ રહ્યા હતા ત્યારે પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને ટક્કર મારી હતી. તેથી બાઈકસવાર દંપતિ અને બાળક રોડ પર પટકાયા હતા. જેમાં બાઈકસવાર યોગેશ લુજાભાઈ વસૈયા – પતિ (ઉં. 31), નિરુબેન યોગેશભાઈ વસૈયા – પત્ની (ઉં. 23), અને આરવકુમાર યોગેશભાઈ વસૈયા-પુત્ર (ઉં.વ.7)ના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ બાઈક સળગી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો હતો. કારચાલકે ઓવરટેક કરવા જતાં આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક રોડ પર સળગવા લાગી અને કાર રોડની બાજુમાં ખેતરમાં ઘસડાઈ ગઈ હતી

આ દુર્ઘટનામાં પિતા યોગેશભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે માતા અને બાળક ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે જીતપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, પરંતુ સારવાર દરમિયાન બંનેનાં પણ મોત થયાં. ઘટનાની જાણ થતાંની સાથે લોકોનાં ટોળાં ઊમટયાં હતાં, પરંતુ બાઈકસવારનું સારવાર મળે એ પહેલાં જ મોત થયું હતું, જ્યારે સારવારમાં માતા-પુત્રનાં મોત થતાં એક જ પરિવારના તમામ ત્રણ સભ્યનાં મોતથી પરિવારનો માળો વિખેરાયો છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ છે, કારણ કે વાહનચાલકોની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે.  અકસ્માત બાદ કારચાલક કાર ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આંબલિયારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેમનાં પરિવારજનોને સોંપવાની કાર્યવાહી કરી છે. પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસે આસપાસના સ્થાનિકોનાં પણ નિવેદન લીધાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code