
- ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો,
- 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને ડિગ્રી એનાયત,
- મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરનારા યુવાઓ રાષ્ટ્રહિત અને આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણના વિચાર સાથે કર્તવ્યરત રહે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહના દિક્ષાંત પ્રવચનમાં મુખ્યમંત્રી કહ્યું કે, આજે મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છે અને આ સેક્ટર માટે ભારત ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટ પૂલ સપ્લાયર બની રહ્યું છે. એટલું જ નહિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશાગ્ર નેતૃત્વને કારણે વિશ્વની અપેક્ષાઓ પણ ભારત પાસેથી વધી ગઈ છે ત્યારે દેશના મેરિટાઈમ સેક્ટરને નવી ઊંચાઈઓ સર કરાવવાનું દાયિત્વ આ સેક્ટરમાં પદાર્પણ કરી રહેલી યુવા શક્તિએ નિભાવવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને પોર્ટ લેડ ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવવા સાથે પોર્ટ અને મેરિટાઈમ વિરાસતને આધુનિક જ્ઞાન કૌશલ્યથી સંવર્ધિત કરીને આ સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ ટ્રેઈન્ડ વર્કફોર્સ ઉપલબ્ધ કરાવવા ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીની શરૂઆત કરાવી હતી.
આ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં એલ.એલ.એમ. વિદ્યાશાખાના 188 અને એમ.બી.એ.ના 62 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 13 છાત્રોને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા હતા.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત પાસે 4 હજારથી વધુ વર્ષ જૂના પુરાતન ઇતિહાસ અને સમુદ્રી વિરાસત ધરાવતું લોથલ બંદર છે. વડાપ્રધાનએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ કાર્યરત કરાવ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનના 11 વર્ષના સફળ કાર્યકાળમાં ભારત સમુદ્રી અર્થવ્યવસ્થાના પુનરુદ્ધારનું સાક્ષી રહ્યું છે.
વડાપ્રધાને શરૂ કરાવેલા પી.એમ. ગતિશક્તિ, સાગરમાલા અને બ્લુ ઇકોનોમી મિશન જેવા કાર્યક્રમો દેશના પોર્ટ્સ, લોજિસ્ટિક્સ અને કોસ્ટલ ઇકોનોમીની વાસ્તવિક ક્ષમતાને ઉજાગર કરે છે. મુખ્યમંત્રી આ ક્ષમતાને વિશ્વ ફલક પર ઝડપભેર પહોંચાડવાના સંવાહક બનવાની પ્રેરણા ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાનોને આપી હતી.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે અને આ અમૃતકાળની અમૃત પેઢી તરીકે યુવાઓએ વિકસિત ભારત@2047ના ભાગ્યવિધાતા બનવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ ડિગ્રીધારક યુવાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પણ પાઠવી હતી.
રાજ્યના મુખ્ય સચિવ અને ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પંકજ જોષીએ સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ ઇનોવેશન્સ, કોલોબ્રેશન અને એક્સેલન્સથી નવા સીમાચિહ્નો સર કર્યાં છે.