
IPL: RCBએ પંજાબને હરાવી ફાઈનલમાં કર્યો પ્રવેશ, આજે ગુજરાત અને મુંબઈ વચ્ચે મેચ
મુંબઈઃ IPL ક્રિકેટમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગઈકાલે રાત્રે ચંદીગઢમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 101 રન બનાવ્યા હતા. જવાબમાં, બેંગ્લોરની ટીમે માત્ર 10 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી અને 50 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર પણ કંઈ ખાસ રન નહોતા બનાવી શક્યા અને માત્ર 2 રન બનાવી આઉટ થઈ ગયા હતા. પંજાબ કિંગ્સ તરફથી સૌથી વધુ 26 રન સ્ટોઈનીસે બનાવ્યા હતા. આમ માત્ર 101 રનમાં પંજાબ કિંગ્સ ઓલ આઉટ થઈ ગઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તરફથી હેઝલવુડ અને સુયશ શર્માએ સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. સાથે જ યશ દયાલે 2, ભુવનેશ્વર કુમારે 1 અને શેફર્ડે 1 વિકેટ ઝડપી હતી.
102 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમે માત્ર 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 106 રન બનાવી મેચ જીતી લીધી હતી. ફીલ સોલ્ટે 56 રનની અણનમ વિજયી ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 12, મયંક અગ્રવાલે 19 રન અને રજત પાટીદાર 15 રન બનાવ્યા હતા.
હવે બધાની નજર આજે સાંજે ચંદીગઢમાં યોજાનારી ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ ઉપર છે. આ મેચના વિજેતા 1 જૂને બીજી ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે.