જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ બહારના લોકો દ્વારા 130 કરોડથી વધુની જમીન ખરીદી
ઓગસ્ટ 2019માં કલમ 370 રદ્દ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં બહારના લોકો હવે જમીન ખરીદી શકે છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં અન્ય રાજ્યના કુલ 631 નાગરિકોએ 130 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન ખરીદી છે.
ધારાસભ્ય શેખ એહસાન અહમદના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે જમ્મુ વિભાગમાં 378 લોકોએ લગભગ 212 કનાલ જમીન ખરીદી છે, જેની કિંમત આશરે 90.48 કરોડ રૂપિયા છે. જ્યારે કાશ્મીર વિભાગમાં 253 બહારના ખરીદદારો દ્વારા 173 કનાલ જમીન ખરીદવામાં આવી છે. જેનું મૂલ્ય લગભગ 39.49 કરોડ રૂપિયા જેટલું છે.
સરકારના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2019માં બંધારણીય ફેરફારો પછી જમ્મુ-કાશ્મીરમાં બહારના નાગરિકોને સંપત્તિ ખરીદવાનો કાનૂની અધિકાર મળ્યો છે. ત્યારથી અત્યાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગેરનિવાસીઓએ રહેણાંક અને વ્યાવસાયિક હેતુઓ માટે જમીન ખરીદી છે.
રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે આ પરિવર્તનથી રાજ્યમાં રોકાણની નવી તકો ઊભી થઈ છે, પરંતુ સ્થાનિક સ્તરે જમીન સુરક્ષા અને રોજગાર પર તેની અસર અંગે ચર્ચા પણ તેજ બની છે.


