
ટ્રમ્પના ટેરિફથી સુરતના ડાયમંડ ઉધોગ મુશ્કેલીમાં મુકાયો, પ્રતિ કેરેટે બે લાખનો વધારો
- પહેલા ઝીરો ટેરિફ હતો, હવે 26 ટકા ચુકવવો પડશે
- ડાયમંડ ઉદ્યોગ મંડીમાં સપડાયેલો છે ત્યાં નવી મોકાણ શરૂ થઈ
- ભારત 35 ટકા ડાયમન્ડ અમેરિકાને એક્સપોર્ટ કરે છે
સુરતઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. સુરત શહેર હીરા ઉદ્યોગનું મુખ્ય મથક ગણાય છે. જ્યારે ભાવનગર, અમરેલી, સહિત અનેક શહેરોમાં હીરાના નાના-મોટા કારખાના આવેલા છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં મંદીનો દૌર ચાલી રહ્યો છે. કોરોના ત્યારબાદ યુક્રેન-રશિયા યુદ્ધ સહિત અને વૈશ્વિક કારણોને લીધે હીરા ઉદ્યોગની માઠી દશા બેઠી હતી ત્યાં જ ટ્રમ્પના ટેરિફના લીધે મંદીની નવી મોકાણ શરૂ થઈ છે. કારણ કે ભારત 35 ટકા ડાયમન્ડ અમેરિકાને એક્સપોર્ટ કરે છે. જેમાં ઝીરો ટકા ટેરિફ હતી એમાં 26 ટકાનો વધારો કરાયો છે. એટલે પ્રતિ કેરેટ રૂપિયા બે લાખનો વધારો થશે. આવી સ્થિતિમાં ડાયમન્ડની નિકાસ પર વિપરિત અસર થશે.
ગુજરાતનો ડાયમન્ડ ઉદ્યોગ વ્યાપક મંદીના દૌરમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ટ્રમ્પના ટેરિફે વધુ મુશ્કેલી ઊભી કરી છે. પહેલાં 0% ટેરિફ હતો, હવે સીધો જ 26% કરી નાખ્યો છે. એના કારણે અમેરિકામાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં પ્રતિ કેરેટે 2 લાખ રૂપિયા સુધીનો વધારો થઈ ગયો છે અને લેબગ્રોનમાં 2,635 રૂપિયાનો વધારો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારત પોતાના હીરા ઉદ્યોગનો 35% માલ માત્ર USમાં જ એક્સપોર્ટ કરે છે. એક તરફ ડાયમંડ ઉદ્યોગની અંદર રત્નકલાકારો બેરોજગાર થઈ રહ્યા છે, આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વૈશ્વિક સ્તર પર અનેક સમીકરણો ઊભાં થતાં ટ્રેડવોર શરૂ થયો તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ફલક પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતાં ડાયમંડ ઉદ્યોગ પર એની સીધી અસર થઈ હતી.
કોરોના બાદ હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. થોડાઘણા અંશે લેબગ્રોન ડાયમંડના કારણે સ્થિતિ સચવાઈ હતી, પરંતુ હવે ટેરિફ લાગુ થતાંની સાથે જ ડાયમંડ ઉદ્યોગ કેવી રીતે સુરક્ષિત રહેશે એને લઈને સૌકોઈ ચિંતામાં છે. ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન વેપારની વાત કરીએ તો વર્ષ 2024માં અમેરિકા અને ભારત વચ્ચે કુલ 129.2 બિલિયન ડોલરનો વેપાર થયો હતો. આમાંથી યુએસના માલોની ભારતમાં આયાત 41.8 બિલિયન ડોલરની હતી, જ્યારે યુએસમાં ભારતથી 87.4 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું, આથી યુએસ માટે 41.8 બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો મુદ્દો હતો. ભારતથી જેમ્સ એન્ડ જ્વેલરીક્ષેત્રે કુલ રૂપિયા 2.92 લાખ કરોડનું એક્સપોર્ટ થાય છે. ભારતથી આ ઉદ્યોગનો લગભગ 35% માલ માત્ર યુએસમાં એક્સપોર્ટ થાય છે અને દક્ષિણ ગુજરાત જેમ્સ અને જ્વેલરી માટે મહત્ત્વનું કેન્દ્ર તરીકે ઓળખાય છે, જે દેશના જેમ્સ એન્ડ જ્વેલરીનું 90% ઉત્પાદન કરે છે અને લગભગ 2 લાખ લોકો આ ઉદ્યોગમાં કાર્યરત છે.
અમેરિકાએ ભારતથી આયાત થતા હીરા અને જવેલરી પર નવી કસ્ટમ ડ્યૂટીઝ લાગુ કરવાની જાહેરાત કરી છે, જે 9 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ નવા નિયમો ભારતીય હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે, જે દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપે છે. અમેરિકાએ પોલિશ્ડ હીરા પર ડ્યૂટી 0%થી વધારીને 26%, લેબગ્રોન હીરા પર 0%થી 26%, અને ગોલ્ડ જ્વેલરી પર 5.5%થી 7% વધારીને 31.5%થી 33% નક્કી કરી છે. આ ઉપરાંત સિલ્વર જ્વેલરી અને જેમસ્ટોન જ્વેલરી પર વર્તમાન ડ્યૂટી 5%થી 6%ને 31%થી 32% સુધી વધારવામાં આવી છે. આ ફેરફારો ભારતીય નિર્માતાઓ અને નિકાસકારો માટે ગંભીર પડકારો ઊભા કરી શકે છે.