નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ચાલી રહેલી G20 નેતાઓનું શિખર સંમેલન આજે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય – મહત્વપૂર્ણ ખનિજો, યોગ્ય કાર્ય અને કૃત્રિમ બુદ્ધિ’ વિષય પર આયોજિત આ સંમેલનના ત્રીજા સત્રમાં ભાગ લેશે. શ્રી મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાની ત્રણ દિવસની મુલાકાતે જોહાનિસબર્ગ પહોંચ્યા હતા અને પ્રથમ વખત આફ્રિકન ભૂમિ પર આયોજિત G20 સમિટમાં ભાગ લીધો હતો.
દરમ્યાન શિખર સંમેલનના પહેલા દિવસે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક વિકાસને ધ્યાનમાં રાખીને છ નવી પહેલનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમાં ગ્લોબલ ટ્રેડિશનલ નોલેજ રિપોઝિટરીની સ્થાપના, આફ્રિકા સ્કિલ્સ મલ્ટીપ્લાયર પ્રોગ્રામ, ગ્લોબલ હેલ્થકેર રિસ્પોન્સ ટીમ, કાઉન્ટર-ડ્રગ અને ટેરરિઝમ નેક્સસ, ઓપન સેટેલાઇટ ડેટા પાર્ટનરશિપ અને ક્રિટિકલ મિનરલ સર્ક્યુલર ઇનિશિયેટિવનો સમાવેશ થાય છે.
સમિટના પહેલા દિવસે બે સત્રોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ પહેલ ભારતના વિકાસ, પ્રગતિ અને સુખાકારી માટેના વિઝનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે આ પહેલ સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
સમાવેશક અને ટકાઉ આર્થિક વિકાસ પરના પ્રથમ સત્ર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે G20 ભવિષ્યની પેઢીઓના લાભ માટે ગ્લોબલ ટ્રેડિશનલ નોલેજ રિપોઝિટરી, માનવતાના સામૂહિક શાણપણનો ઉપયોગ કરશે. આફ્રિકા સ્કિલ્સ મલ્ટીપ્લાયર પ્રોગ્રામનો હેતુ આફ્રિકામાં યુવાનોને કૌશલ્ય આપવા માટે દશ લાખ પ્રમાણિત તાલીમ આપનારાઓનો સમૂહ સ્થાપિત કરવાનો છે.
પ્રધાનમંત્રી મોદીએ G20 ગ્લોબલ હેલ્થકેર રિસ્પોન્સ ટીમની રચનાનો પણ પ્રસ્તાવ મૂક્યો, જેમાં દરેક G20 દેશના આરોગ્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જેને વિશ્વના કોઈપણ ભાગમાં વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે તૈનાત કરી શકાય છે. તેમણે ડ્રગ હેરફેરના પડકારનો સામનો કરવા અને ડ્રગ્સ અને આતંકવાદ વચ્ચેના જોડાણને તોડવા માટે G20 પહેલનું પણ સૂચન કર્યું.


