રાજકોટ, 28 જુન 2026 : Opposition to making TET exam mandatory for teachers પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2010 પહેલા નોકરી કરતા શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવતા તેના વિરોધમાં શિક્ષકો લડત આપી રહ્યા છે. શહેરના આજી વિસ્તારમાં સેવા ભારતી કાર્યાલય ખાતે ગુજરાત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)ની કારોબારી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના 75000 સહિત દેશના 25 લાખ શિક્ષકોને TET પરીક્ષા ફરજિયાતના મુદ્દાને લઈને 29 જૂનથી 5 જુલાઇ સુધી દેશના તમામ પક્ષના લોકસભાના 543 અને રાજ્યસભા 245 સાંસદોને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આવતી કાલ તા. 29મી જુનથી સાંસદોને રજુઆત કરવામાં આવશે.
દિલ્હીમાં લોકસભા અને રાજ્યસભાના ચોમાસું સત્ર દરમિયાન તમામ સાંસદો શિક્ષકોના આ પ્રશ્નને વાચા આપે અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારો કરી 2010 પહેલાના શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી છે. આ દરમિયાન રાજ્યની શાળાઓમાં શિક્ષકો સહિત 33 હજાર જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 12 હજાર ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી બાકી હોવાનો મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાતના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના 9 સંવર્ગ કાર્યરત છે, જેમાં 1.20 લાખ સદસ્યો નોંધાયેલા છે. હાલમાં ટેટ પરીક્ષાની જે અનિવાર્યતા ઊભી થઈ છે, તેને અનુલક્ષીને જેમને આ પરીક્ષા પાસ કરવાની થાય છે તેવા 75,000 જેટલા શિક્ષકો છે. જ્યારે ભારતના 25 લાખ શિક્ષકોને આ નિર્ણયની અસર થાય છે.
વર્ષ 2010 પહેલાથી નોકરી કરતા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા શિક્ષકો લડત આપી રહ્યા છે, આવતી કાલ તા.29મીથી 5 જુલાઈ સુધી સમગ્ર ભારતના તમામ પક્ષના સાંસદોનો સંપર્ક કરવામાં આવશે, જેમાં શિક્ષકોને જે તકલીફ પડે છે તેની વાત મૂકવામાં આવશે. શિક્ષકોની નોકરી, નોકરીની શરતો, તેમનું પ્રમોશન અને નિવૃત્તિમાં જે કંઈ પણ પ્રશ્નો છે, તેની સાંસદોને રજૂઆત કરવામાં આવશે.


