ગાંધીધામ, 08 માર્ચ 2026: 1500 containers stuck at Kandla port ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે અખાતી દેશોમાં પણ અજંપાભરી સ્થિતિ ઊભી થઈ છે. દરમિયાન મિડલ-ઈસ્ટમાં યુદ્ધના કારણે સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ છે. ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને બ્લોક કરી દીધું છે. જેથી ભારતથી થતી આયાત-નિકાસને મોટો ફટકો પડ્યો છે. કંડલા પોર્ટ પર નિકાસ માટેના 1500 જેટલા કન્ટેનર ફસાયાનો અંદાજ છે. પશ્ચિમ એશિયામાં નિકાસ માટેના ચોખા સહિતનો જથ્થો અટવાઈ પડ્યો છે. એલપીજી, સલ્ફર અને જિપ્સમ સહિતની આયાતોને ભારે અસર પહોંચી છે. દ્રાક્ષ સહિતની ખાદ્ય ચીજોને અસર પહોંચી છે. 20 ફૂટના કન્ટેનરનો નિકાસ માટેનો ભાવ 2000 ડોલરથી 48 કલાકમાં વધીને 2600 ડોલર થયો છે.
અખાતી દેશોમાં યુદ્ધના કારણે કંડલા પોર્ટ પર અંદાજે 1500 જેટલા કન્ટેનરો નિકાસ થયા વિનાના પડ્યા છે. નિકાસના કન્ટેનરોમાં ચોખાના શિપમેન્ટ, એલપીજી, બલ્ક કાર્ગો જેવા કે સલ્ફર અને જિપ્સમની હેરફેર અટકી જવા પામી છે. યુદ્ધના કારણે કંડલા પોર્ટ અને મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરૂ પોર્ટને વધુ અસર પહોંચી છે. આ બંને મહત્વના પોર્ટ પર આયાત-નિકાસ વધુ થાય છે. પોર્ટના ટર્મિનલો પર હજારો કન્ટેનરો અટવાતા શિપિંગ વ્યવસાયકારો ચિંતાતુર બન્યા છે. જહાજરવાનગીમાં મોકુફી, ઓપરેશનમાં વિલંબ અને ગેટ એક્ટિવિટીમાં સસ્પેન્સના કારણે લોજિસ્ટિક સેવાઓ ખોરવાઈ છે.
ભારતમાંથી તાજા ફળો, શાકભાજી મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં નિકાસ થાય છે. રમઝાન મહિનામાં નોંધપાત્ર નિકાસ થાય છે. શનિવારે યુદ્ધ પહેલા નિકાસ માટે નીકળી ગયેલા કન્ટેનરો અટવાઈ પડ્યા છે. નિકાસકારો અડધા ભાવે માલ વેચવા તૈયાર છે. ડુંગળી લઈને પહોંચી ગયેલા નિકાસકારો માલ રવાના કરી શકે તેવી સ્થિતિમાં નથી. માલ બગડી જવાની ભીતિ છે. 20 ફૂટના કન્ટેનરનો નિકાસ માટેનો ભાવ 2000 ડોલર હતો જે વધીને 48 કલાકમાં 2600 ડોલર થયા છે.


