વડોદરા, 18 જુન, 2026 : 5-year-old girl kidnapped and murdered જિલ્લાના શિનોર તાલુકાના સતીષાણા ગામના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરીને હત્યા કરતા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ બાળકીના અપહરણની તપાસ કરી રહી હતી ત્યારે અપહરણના ત્રણ દિવસ બાદ બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવતાં અપહરણ બાદ હત્યાનો ઘટસ્ફોટ થયો છે. આ બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધો છે.
આ બનાવની વિગત એવી છે કે, શિનોર તાલુકાના સતીષાણા ગામમાં રહેતા શ્રમિક પરિવારની પાંચ વર્ષની દીકરી 14 જૂનની રાત્રે ઘરના ઓટલા ઉપર ખાટલામાં સૂતી હતી. કોઈ અજાણ્યા શખસે બાળકીનું અપહરણ કર્યુ હતું. બાળકીના અપહરણની પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન ત્રણ દિવસ બાદ વણીયાદ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. અને શિનોર અને જિલ્લા પોલીસ ટીમે અપહરણ અને હત્યાના આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડીયા (ઉંમર 26 વર્ષ) ને ઝડપી લીધો હતો. આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકી સાથે કોઈ છેડછાડ થઈ હતી કે કેમ અને હત્યાનું કારણ શું હતું તેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે.


