સુરત, 18 જુન, 2026 : Long queues for birth certificate શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શાળાઓમાં બાળકોના પ્રવેશ માટે બાળક અને તેના પિતાના પુરા નામ અને અટક સાથેનો જન્મનો દાખલો ફરજિયાત હોવાથી બાળકોનો જન્મનો દાખલો લેવા માટે શહેરના સિવિક સેન્ટરો પર લોકોની લાંબી લાઈનો જાવા મળી રહી છે. મ્યુનિ. દ્વારા જન્મના દાખલા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. કેન્દ્રો પર એક-બે કર્મચારી જ આ વ્યવસ્થા સંભાળતા હોવાથી ઝડપથી જન્મનો દાખલો મળતો નથી આથી વહેલી સવારથી જન્મનો દાખલો મેળવવા માટો લોકો લાઈનોમાં ઊભા રહે છે. વાલીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
શહેરના વરાછા વિસ્તારમાં મ્યુનિ. કચેરીની બહાર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં નાના બાળકો સાથે આવેલા વાલીઓ પણ કલાકો સુધી ગરમીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. વહીવટી તંત્રની ધીમી કામગીરી અને લિમિટેડ સમયને કારણે લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. બાળકોના આધારકાર્ડ અને જન્મતારીખના દાખલામાં એક સરખુ નામ કરવા માટે લોકોએ લાઈન લગાવી છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ મ્યુનિની કચેરીમાં માત્ર સવારે 10:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી જ દાખલા સબંધી કામગીરી કરવામાં આવે છે. બે વાગ્યા પછી કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરીમાં જવાનું હોવાનું કહીને કામગીરી સ્થગિત કરી દેવામાં આવે છે. આ ટૂંકા સમયગાળાને કારણે સેંકડો લોકો છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે.
વરાછા ઝોન ખાતે લાઈનમાં ઊભેલા લોકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, વરાછા ઝોનની ઓફિસે સવારના નવ વાગ્યાથી જન્મ અને મરણના દાખલા મેળવવા માટે લાઈનમાં ઊભા છીએ. અત્યારે અહીં ભારે ટ્રાફિક અને ભીડ જોવા મળી રહી છે, છતાં પણ હજી સુધી વહીવટી તંત્રના કોઈ અધિકારી કે સાહેબો અહીં હાજર થયા નથી. અહીંની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે નોટબંધીના સમયની જેમ હવે લોકોએ સરકારી કાગળો મેળવવા માટે પણ અહીં ટિફિન લઈને આવવું પડશે. અહીંના કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર પ્રજાની સુવિધા સારી કરવામાં જરાય તત્પર દેખાતા નથી.
મ્યુનિ. કચેરી ખાતે જન્મના દાખલા મેળવવા માટે લોકો સવારના છ વાગ્યાથી ટિફિન અને નાસ્તો સાથે લઈને આવી જાય છે અને અહીં જ નાસ્તો કરીને લાંબી લાઈનોમાં ઊભા રહી જાય છે. માત્ર જન્મનો દાખલો જ નહીં મરણનો દાખલો મેળવવા માટે પણ આવી જ સ્થિતિ છે. લોકો ભારે ભીડ અને અસહ્ય ગરમીમાં હેરાન થઈ રહ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં કોઈ પણ માણસ ગરમીના કારણે અચાનક બીમાર પડી શકે છે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવો જોઈએ.


