
- બે વર્ષમાં 268 સિંહોના કુદરતી અને 39 સિંહોના અકસ્માતને મોત થયા,
- અમરેલી જિલ્લામાં 14 બાળસિંહ અને 17 પુખ્તવયના સિંહના મોત થયા,
- સિંહના રક્ષણ માટે અસરકારક નીતિ બનાવવા વિપક્ષની માગ
ગાંધીનગરઃ ગુજરાતમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ સતત કાર્યરત રહેતુ હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં કુલ 307 સિંહોના મૃત્યુ થયા હોવાની માહિતી ગુજરાત વિધાનસભામાં આપવામાં આવી હતી. વિધાનસભામાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો હતો. કે, છેલ્લા બે વર્ષમાં થયેલા 307 સિંહોના મૃત્યુમાંથી 268 સિંહોનું મૃત્યુ કુદરતી કારણોસર અને 39 સિંહોનું મૃત્યુ અકસ્માતને કારણે થયા હતા.
ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સિંહોના મૃત્યુનો મુદ્દો ઉઠાવાયો હતો, જેમાં છેલ્લા બે વર્ષમાં કુલ 307 સિંહોના મૃત્યુ થયા હોવાની માહિતી આપવામાં આવી હતી. સિંહના મૃત્યુના આંકડાઓ રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં થયેલા 307 સિંહોના મૃત્યુમાંથી 268 સિંહોનું મૃત્યુ કુદરતી કારણોસર અને 39 સિંહોનું મૃત્યુ અકસ્માતને કારણે થયા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અમરેલી જિલ્લામાં સિંહોના મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં સરકારે ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. છેલ્લા છ માસમાં અમરેલી જિલ્લામાં કુલ 31 સિંહો અને સિંહબાળોના મૃત્યુ થયા છે. 14 સિંહબાળ અને 17 સિંહોનો સમાવેશ થાય છે. આ મૃત્યુમાંથી 3 કુદરતી રીતે અને 1 ઈજાના કારણે થયું છે. જ્યારે બાકીના 27 સિંહો અને સિંહબાળોના મૃત્યુ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર, ન્યુમોનિયા સહિતની વિવિધ બીમારીઓના કારણે થયા છે.
સિંહોના મૃત્યુને અટકાવવા અને તેમના સંરક્ષણ માટે સરકારે કેટલાક પગલાં લીધા હોવાનું પણ વિધાનસભામાં જણાવ્યું હતું. જોકે, વિપક્ષ દ્વારા આ પગલાં પૂરતા ન હોવાનો અને સિંહોની સંખ્યા જાળવી રાખવા માટે વધુ કડક પગલાં લેવા જરૂરી હોવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. આ મુદ્દો દર્શાવે છે કે સિંહોનું સંરક્ષણ હજુ પણ એક ગંભીર પડકાર છે અને તેના માટે વધુ નક્કર અને અસરકારક નીતિઓ બનાવવાની જરૂર છે.