ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO)ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય છે કે, એક્સેસ પાસ ભારતના EEZ માં માછીમારોને માછીમારી માટે કાયદેસર અને પારદર્શક રીતે પરવાનગી આપશે. તે તેમને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ટુના જેવી ઉચ્ચ-મૂલ્યની પ્રજાતિઓને પકડવામાં મદદ કરશે તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિશ્ચિત કરશે.
એક્સેસ પાસ પ્રદાન કરવાનો નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે ?
ભારત 11,099 કિમીનો દરિયાકિનારો ધરાવે છે અને 24 લાખ ચોરસ કિમીમાં EEZ ધરાવે છે. પુષ્કળ દરિયાઈ સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં મોટાભાગની માછીમારી પ્રવૃત્તિઓ 40-50 નોટિકલ માઇલ સુધી મર્યાદિત રહે છે. EEZ રૂલ્સ, 2025માં માછીમારીના ટકાઉ ઉપયોગને 4 નવેમ્બર, 2025ના રોજ ટેરિટોરિયલ વોટર્સ, કોન્ટિનેન્ટલ શેલ્ફ, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને અન્ય મેરીટાઇમ ઝોન્સ એક્ટ, 1976 હેઠળ સૂચિત કરવામાં આવ્યા હતા. આ નિયમો એક મજબૂત કાનૂની અને સંસ્થાકીય માળખું બનાવે છે, જેમનો ઉદ્દેશ EEZમાં માછીમારી પ્રવૃત્તિઓને જવાબદાર અને ટકાઉ રીતે વિસ્તૃત કરવાનો છે.
આ માળખું દેખરેખ, પાલન અને સલામતીમાં સુધારો કરશે, સાથે સાથે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં આવકમાં વધારો કરશે. તે ભારતના સીફૂડ નિકાસને પણ મજબૂત બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે. નાણાકીય વર્ષ 2024-25માં ₹62,408 કરોડની દેશની સીફૂડ નિકાસ સાથે ભારત વિશ્વના બીજા ક્રમનો સૌથી મોટો મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેર ઉત્પાદક દેશ બન્યો હતો.
ગુજરાતમાં વેરાવળ એક મુખ્ય ફિશરીઝ પ્રોસેસિંગ (મત્સ્યઉદ્યોગ પ્રક્રિયા) અને નિકાસ કેન્દ્ર છે અને તેના વ્યૂહાત્મક સ્થાનના કારણે તેને એક્સેસ પાસના લૉન્ચ માટે પસંદ કરવામાં આવ્યું છે. ભારત સરકારનો ઉદ્દેશ દેશભરમાં 34 મત્સ્યઉદ્યોગ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્લસ્ટરોનો વિકાસ કરવાનો છે, જેમાં વેરાવળ સીફૂડ નિકાસ, મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પહેલ સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતના સીફૂડ નિકાસના લાભો સીધા માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયોને મળે, સાથે સાથે પ્રીમિયમ વૈશ્વિક બજારોમાં પણ પ્રવેશ સુનિશ્ચિત થાય.


