ગાંધીનગર, 9 ઓગસ્ટ 2026 : Review of passenger safety at the railway crime conference. પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુના નિયંત્રણ અર્થે સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝના ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે પશ્ચિમ રેલ્વે માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્રાઇમ કોન્ફરન્સમાં ટ્રેન અને રેલ્વે સ્ટેશનો પર થતી ચોરી, લૂંટફાટ અને પોકેટમારી જેવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહી કરવા તથા રેલવે સ્ટેશનો, ટ્રેનમાં પોલીસ બંદોબસ્ત તથા નિયમિત પેટ્રોલિંગમાં વધારો કરવા સૂચના આપવામાં આવી. મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુખદ અને સુરક્ષિત મુસાફરી માટે સુરક્ષાત્મક પગલાં લેવા જણાવાયું છે.
ડો. રાવે ગુનાઓની ઝડપી ફરિયાદ અને ઉકેલ માટે e-FIR પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા કરી હતી. સમગ્ર રેલવે સ્ટેશન પરિસરમાં CCTV સર્વેલન્સ અને ટેકનોલોજી આધારિત મોનીટરીંગ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત તપાસ ક્ષમતા વધારવા માટે ‘સુદર્શન’ , ‘ગાંડીવ’ અને NATGRID- નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ જેવા આધુનિક સોફ્ટવેર/ટૂલ્સની ઉપયોગીતા અંગે કોન્ફરન્સમાં વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
નશીલા પદાર્થો સામેની ઝુંબેશ અંગે વધુ કડકાઈથી પગલાં લેવા ક્રાઈમ કોન્ફરન્સમાં સૂચના અપાઈ છે. જેમાં રેલવે માર્ગો દ્વારા થતી નશીલા પદાર્થોની હેરફેર રોકવા માટે શંકાસ્પદ મુસાફરો અને સામાનનું સઘન ચેકિંગ, ડ્રગ્સની સપ્લાય ચેઇન મૂળમાંથી તોડવા માટે નેટવર્કના મૂળ સુધી તપાસ લંબાવવા અને આંતરરાજ્ય ગેંગ્સ સામે સંકલિત સ્પેશિયલ ઓપરેશન્સ ચલાવવા નિર્દેશ અપાયા છે. ક્રાઇમ કોન્ફરન્સમાં રેલવે પ્રશાસન અને અધિકારીઓ સાથે યોગ્ય સંકલન જાળવીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખવા પણ સૂચના આપવામાં આવી છે.


