અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2026: ગુજરાત સરકારના કર્મચારી અને અધિકારીઓ સામે હવે સીધી પોલીસ ફરિયાદ કરી શકાશે નહીં. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સરકારી કર્મચારી સામે કોઈ ફરિયાદ નોંધાવે તો પોલીસે તુરંત ગુનો નોંધવાને બદલે પહેલા પ્રાથમિક તપાસ અને ચકાસણી કરવી ફરજિયાત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. જેમાં જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી સામે સીધી પોલીસ ફરિયાદ કરવાનો આગ્રહ રાખે, તો પોલીસે તુરંત ગુનો નોંધવાને બદલે પહેલા પ્રાથમિક તપાસ અને ચકાસણી કરવી ફરજિયાત રહેશે. પોલીસને ચકાસણી દરમિયાન એવું જણાય કે ખરેખર અધિકારી સામે ગુનો બને છે, તો જ આગળની કાયદેસરની કાર્યવાહી કે ફરિયાદ નોંધી શકાશે. રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં અંગત અદાવત અથવા અધિકારીઓને ડરાવવા-ધમકાવવા માટે ખોટી ફરિયાદો કરવામાં આવતી હોય છે. અનેક કિસ્સાઓમાં અધિકારીઓને પાયાવિહોણી ફરિયાદો દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની રજુઆતો મળી હતી. જ્યારે કોઈ અધિકારી સામે ખોટી ફરિયાદ થાય અને તે મીડિયા કે અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ થાય છે, ત્યારે તે અધિકારીના મોરલ પર નકારાત્મક અસર પડતી હોય છે. અને આવી ફરિયાદોના ડરથી અધિકારીઓ પોતાની ફરજ નિરપેક્ષપણે અને આત્મવિશ્વાસ સાથે બજાવી શકતા નથી, જેના કારણે સરકારી કામકાજમાં ઉદાસીનતા જોવા મળે છે. ખોટી ફરિયાદોને કારણે પ્રામાણિક અધિકારીઓની છબી ખરડાય છે અને તેઓ દબાણ હેઠળ કામ કરે છે. આ પરિપત્રથી વહીવટી તંત્રમાં સુરક્ષાનું વાતાવરણ ઉભું થશે.
ઉલ્લેખનીય છે કે, ગૃહ વિભાગના આ પગલાથી વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા છે. હવેથી કોઈપણ પાયાવિહોણી રજૂઆતને આધારે સીધો ગુનો નહીં નોંધાય, પરંતુ તટસ્થ તપાસ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.


