
- AMC 110 મકાનોના પ્લોટ્સની માલિકી હક્ક આપવા ઠરાવ કરશે
- ઓઢવમાં રબારી સમાજના મકાનો તોડતા આક્રોશ ઊભો થયો હતો
- મ્યુનિ. ઠરોવ કરીને રાજ્ય સરકારને મોકલી આપશે
અમદાવાદઃ શહેરમાં ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં મકાનો પર મ્યુનિએ બુલડોઝર ફેરવ્યા બાદ વિરોધ વધતા હવે મ્યુનિએ ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં વર્ષોથી મ્યુનિની જમીન પર રહેતા વસાહતીઓને તેમના રહેઠાણની જમીન નજીવા દરે વેચાણ આપવાનો મ્યુનિએ નિર્ણય લીધો છે. જોકે મ્યુનિ. વસાહતીઓને જમીન વેચાણથી આપવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલી આપશે. એટલે જમીન વેચાણ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાશે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગરમાં મ્યુનિના પ્લોટ પર વર્ષો પહેલા બનાવવામાં આવેલી રબારી વસાહતોને વેચાણથી આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો પહેલા જંત્રી ભાવ અથવા તો રાજ્ય સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે તે મુજબ વેચાણ આપીને માલિકી હક આપવામાં આવતો હતો તેમ ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગર નવી અને જૂની એમ કુલ ચાર જેટલી વસાહતોનાં 1100 જેટલા મકાનોમાં કાયમી માલિકી હક અપાશે.
સૂત્રોના કહેવા મુજબ શહેરના ઓઢવ વિસ્તારમાં તાજેતરમાં રબારી સમાજના મકાનો તોડવાને લઈને રબારી સમાજના લોકોમાં ભાજપ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કોંગ્રેસ દ્વારા પણ ખૂબ મક્કમતાથી લડત ચલાવવામાં આવી હતી જેથી રબારી સમાજના મતો કોંગ્રેસ તરફ ન જાય અને આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં નુકસાન ન ભોગવવું પડે તેના માટે કરોડો રૂપિયાના પ્લોટ હવે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજકીય લોબીમાં ચર્ચાય રહ્યું છે.
આ અંગે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1960માં ઢોરોને બાંધવા માટે જે જગ્યા આપવામાં આવી હતી અને વર્ષોથી રબારી સમાજના લોકો ત્યાં વસવાટ કરે છે. જ્યાં મોટા પ્રમાણમાં બાંધકામ થઈ ગયું હતું. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈ સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ સુધી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સ્થાનિક આગેવાનો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો સાથે ખુલ્લા મને ચર્ચા વિચારણા કરી છે. ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંત્રી ભાવે અથવા તો રાજ્ય સરકાર નક્કી કરે તે મુજબ ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. ત્યાં રહેતા સ્થાનિક લોકોને પોતાનો માલિકી હક મળે અને શાંતિપૂર્વક રહી શકે તેના માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી આ અંગેનો સુખદ અંત આવશે.