
- રાજ્યના કૃષિમંત્રીએ લીલીઝંડી આપી કન્ટેનર ટ્રેનનો કરાયો પ્રારંભ
- પ્રથમ કન્ટેનર ટ્રેનને મુદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરાઈ
- ઉંઝા ટર્મિનલથી જીરૂ, ઈસબગુલ સહિતના અન્ય મસાલાઓથી નિકાસ
મહેસાણાઃ રાજ્યમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂ, વરિયાળી, ઈસબગુલ સહિતના પાકની સારીએવી આવક થતી હોય છે. ત્યારે આ કૃષિ પાકની નિકાસ માટે ઊંઝા રેલવે સ્ટેશનમાં કન્ટેનર ટર્મિનલ સેવાનો પ્રારંભ કરાયો છે. ગઈકાલે મહા શિવરાત્રીના પર્વે ભારતીય રેલવેની પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT)નું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું. અને મુન્દ્રા બંદર જતી કન્ટેનર ટ્રેનને લીલીઝંડી આપીને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા ઉંઝા રેલવે સ્ટેશનથી મહા શિવરાત્રીના પર્વે ભારતીય રેલવેના પ્રથમ એક્સક્લૂઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ (ECRT)નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઉંઝાના ધારાસભ્ય કિરીટકુમાર પટેલે લીલી ઝંડી આપીના આ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી પણ આપી. ઉંઝા ટર્મિનલથી જીરૂ, ઈસબગુલ સહિતના અન્ય મસાલાઓથી ભરેલી આ પ્રથમ કન્ટેનર ટ્રેનને મુદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે લીલી ઝંડી આપીને રવાના કરી હતી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ માલ પરિવહનના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે, આ સૌ પ્રથમ લોડિંગમાં 100 કન્ટેનરને લાદવામાં આવ્યા છે. જેનાથી રેલવેને 9.16 લાખની આવક થશે. જે આ ટર્મિનલની આર્થિક સફળતાને દર્શાવે છે. સિનિયર ડિવિઝનલ અને કોમર્શિયલ મેનેજર અન્નુ સાઈએ આ ઐતિહાસિક સિદ્ધિને શક્ય બનાવવા માટે સહકાર આપવા બદલ તમામ હિતધારકો, ખાસ કરીને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ, અદાણી લોજિસ્ટિક્સ, ઊંઝાના બિઝનેસમેન, ડિવિઝનલ રેલવે મેનેજર સુધીર કુમાર શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રેલવે અધિકારીઓ અને ક્રૂનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સિદ્ધિ સામૂહિક પરિવહનના નવા યુગની શરૂઆત દર્શાવે છે, જ્યાં રેલવે ભારતની આર્થિક અને ખેતી પ્રગતિની કરોડરજ્જુ બનશે.