
- આસારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની અરજી કરી હતી,
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરાયો,
- સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી
અમદાવાદઃ સુરતના દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને બિમારીને કારણે ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે. આ કેસની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે થશે. આસારામે સ્વાસ્થ્ય કારણોસર જામીન લંબાવવાની હાઈકોર્ટમાં અરજ ગુજારી હતી. આ ઉપરાંત રાજસ્થાન હાઈકોર્ટે પણ 29મી ઓગસ્ટ સુધી આસારામના હંગામી જામીન લંબાવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે સોમવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામનો હેલ્થ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
સુરતના દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને બિમારીને કારણે ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી ફરી હંગામી જામીન આપ્યા છે આ કેસમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટે 27મી જૂને આસારામના સાતમી જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. જોકે, બાદમાં ત્રીજી જુલાઈએ જામીન એક મહિનો સુધી વધાર્યા હતા. ત્યારબાદ સાતમી ઓગસ્ટ 2025ના રોજ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હવે ફરી કોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યા છે.
દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ હાલ જામીન હેઠળ બહાર છે. રાજસ્થાન હાઇકોર્ટે આસારામના સ્વાસ્થ્યની તપાસ કરવા સૂચનાઓ જારી કરી અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની એક પેનલ બનાવી બીમારીની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. જેના ભાગરૂપે આસારામને સોમવારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેક અપમાં લાવવામાં આવ્યા હતા. અને 13 નંબરની ઓપીડીમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ તેના ઈકો અને ઈસીજી કરવામાં આવ્યા હતા. ઓપીડીમાં વિવિધ ટેસ્ટ પૂરા થયા બાદ તેને ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યા હતા. આસારામ આવતા સામાન્ય દર્દીઓ માટે ટ્રોમા સેન્ટરનો ગેટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આસારામના અંદાજે ચાર કલાક સુધી સિવિલમાં ટેસ્ટ ચાલ્યા હતા.