1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે છેલ્લાં બે વર્ષમાં રૂ. 18.004 કરોડની સબસિડી અપાઈ
ગુજરાતમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે છેલ્લાં બે વર્ષમાં રૂ. 18.004 કરોડની સબસિડી અપાઈ

ગુજરાતમાં ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે છેલ્લાં બે વર્ષમાં રૂ. 18.004 કરોડની સબસિડી અપાઈ

0
Social Share
  • ગુજરાતમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ
  • છેલ્લા બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ અપાયા
  • વર્ષ 2022-23માં રૂ 8233 કરોડ અને વર્ષ 2023-24માં રૂ. 9771  કરોડ સબસિડી અપાઈ

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી  કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23માં રૂ. 8233 કરોડ અને વર્ષ  2023-24માં રૂ. 9771 કરોડ એમ કુલ બે વર્ષમાં રૂ. 18,0004  કરોડની સબસિડી આપવામાં આવી છે.

ઊર્જા મંત્રીએ કહ્યું કે આપણો ખેડૂત ખેતરમાં દિવસ-રાત મજૂરી કરીને વિવિધ ખેતપેદાશો દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી પાડે છે. ખેડૂતોને તેમની ખેત-પેદાશોની પડતર કિંમત નીચી આવે અને યોગ્ય વળતર મળી રહે તેમજ પરોક્ષ રીતે સામાન્ય વ્યક્તિઓને પણ સસ્તી ખેતપેદાશો થકી ફાયદો થાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ બિલમાં વિવિધ રાહતો આપવામાં આવે છે.

રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણો અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આમ હાલમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ છે. તદુપરાંત રાજ્યના ખેડૂતોને વીજ દરના તફાવતની રકમ, ઇલેક્ટ્રિસિટી ડયુટી તેમજ ફયુઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી જે સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લાં બે વર્ષમાં વીજ બિલમાં સબસિડી મુદ્દે મંત્રીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ 2023માં 43,468 ખેડૂતોને રૂ.701.44  કરોડ તથા વર્ષ 2024માં 44,471  ખેડૂતોને રૂ.637.65 કરોડની એમ કુલ રૂ.1339.09  કરોડની સબસિડી આપવામાં આવી છે. એ જ રીતે, અમરેલી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-2023માં 1,32,463 ખેડૂતોને રૂ. 377.41 કરોડ તથા વર્ષ-2024માં 1,35,793  ખેડૂતોને રૂ. 339,28 કરોડની એમ છેલ્લાં બે વર્ષમાં કુલ રૂ. 716,69  કરોડની સબસિડી આપવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-2023માં  31,637  ખેડૂતોને રૂ. 153,04  કરોડ તથા વર્ષ-2024માં 34,048  ખેડૂતોને રૂ. 135,09  કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, ખેડૂતોને કુલ રૂ. 288,13  કરોડની વીજ બિલમાં રાહત આપી છે. તેમજ નવસારી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ 2023માં 52,205 ખેડૂતોને રૂ. 74,87 કરોડ તથા વર્ષ 2024માં  52,369  ખેડૂતોને રૂ. 66.92 કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, છેલ્લાં બે વર્ષમાં ખેડૂતોને કુલ રૂ. 141.79 કરોડની વીજ બિલમાં રાહત આપવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ ઉપરાંત સાબરકાંઠા, ખેડા, સુરત, સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, દાહોદ, ભાવનગર, કચ્છ, ગાંધીનગર, વડોદરા, મોરબી, વલસાડ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વીજ બિલમાં રાહત પેટે સબસિડી આપવામાં આવી હોવાની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code