1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લગ્નસરાની સીઝનમાં ખાનગી બસોના તોતિંગ ભાડાને લીધે એસટીના બુકિંગમાં વધારો
લગ્નસરાની સીઝનમાં ખાનગી બસોના તોતિંગ ભાડાને લીધે એસટીના બુકિંગમાં વધારો

લગ્નસરાની સીઝનમાં ખાનગી બસોના તોતિંગ ભાડાને લીધે એસટીના બુકિંગમાં વધારો

0
Social Share
  • જાન માટે ખાનગી બસોને બદલે લોકો એસટી બસોનું વધુ બુકિંગ કરાવી રહ્યા છે
  • ખાસ વર્ધીની બસના બુકિંગને લીધે એસટીની આવકમાં વધારો
  • જાનપ્રસંગ માટે એસટી બસોમાં પ્રતિ કિલોમીટર 78 રૂપિયાની આવક

અમદાવાદઃ ગુજરાતમાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. અને ફેબ્રુઆરી અંત સુધીમાં અનેક લગ્નો લેવાયા છે. લગ્નોમાં જાનૈયાઓને લઈ જવા માટે ખાનગી લકઝરી બસ ભાડેથી મેળવવામાં આવતી હોય છે. અને વરપક્ષ દ્વારા જાન માટે એકાદ-બે મહિના પહેલા જ ખાનગી બસનું બુકિંગ કરી દેવામાં આવતુ હોય છે. પણ આ વખતે ખાનગી બસના ભાડામાં તોતિંગ વધારાને લીધે એસટીની બસ ભાડેથી મેળવવાનું બુકિંગમાં વધારો થયો છે. ખાનગી બસની તુલનાએ એસટી બસ કિલોમીટર પર ભાડે મેળવવામાં સસ્તી પડતી હોવાથી વરપક્ષ દ્વારા એસટી બસના બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે.

વર્તમાન સમયમાં મોંઘવારીની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે, જેમાં પરિવહન ક્ષેત્ર પણ બાકાત નથી. ખાસ કરીને લગ્ન સિઝનમાં જાનૈયાઓની અવર-જવર માટે ખાનગી બસોનું ભાડું મોટા ભાગના લોકો માટે પરવડે તેમ ન હોવાથી, ગુજરાત એસટી નિગમની બસો તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. ગુજરાતમાં લગ્ન પ્રસંગ દરમિયાન ખાનગી બસના વધેલા ભાડાને પગલે, એસટી બસોની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

એસટી ડિવિઝનના અધિકારીના કહેવા મુજબ પહેલા લગ્નોમાં જાન લઈ જવા માટે મોટા પ્રમાણમાં ખાનગી બસોનો ઉપયોગ થતો હતો, પરંતુ ઉંચા ભાડાને કારણે હવે સરકારી એસટી નિગમની બસો બુક કરવામાં આવી રહી છે. જાનપ્રસંગ માટે બુક થતી બસોમાં પ્રતિ કિલોમીટર 78 રૂપિયાની આવક થઈ છે, જે સામાન્ય સંચાલન કરતાં બે ગણું વધુ છે. સામાન્ય સંચાલનમાં એસટી બસો દ્વારા પ્રતિ કિલોમીટર 30 રૂપિયાની આવક થાય છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળી તહેવારમાં પણ સારી આવક થઈ હતી. હવે લગ્ન સિઝન શરુ થતાની સાથે જ એસટી નિગમને વધુ ફાયદો થઈ રહ્યો છે. ખાસ લગ્ન માટે બસોની બુકિંગ કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં લગ્ન સીઝન વધુ પીક પર પહોંચશે, જેના કારણે એસટી નિગમ દ્વારા વધુ બસોની વ્યવસ્થા કરવાની શક્યતા છે. મોંઘવારી અને ખાનગી વાહનવ્યવહારના ખર્ચના કારણે સામાન્ય જનતાને એસટી બસ વધુ અનુકૂળ વિકલ્પ બની રહી છે. તેનાથી ભવિષ્યમાં સરકારી ટ્રાન્સપોર્ટની આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code