
- મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો,
- ગૌ હત્યા અટકાવીને કતલખાના બંધ કરાવો,
- સુરતમાં માલધારી સમાજે કલેકટરને આપ્યુ આવેદનપત્ર
સુરતઃ મહારાષ્ટ્ર જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે. સુરતમાં માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનોએ જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
સુરતમાં કોંગ્રેસની આગેવાનીમાં માલધારી સમાજ તેમજ સાધુ-સંતોએ કલેકટરને કરેલી રજુઆતમાં ગૌહત્યા અટકાવી ચાલતા કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરવાની પણ માંગ કરી હતી. મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવી છે. જે બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હિન્દુ સમાજ માટે ગૌમાતા એક પૂજનીય તરીકે ગણવામાં આવે છે. ગૌમાતા પ્રત્યે લોકોમાં એક ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે. તે જ કારણ છે કે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
આ માંગને લઈ સુરતના માલધારી સમાજ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. આજરોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈ આવેલા માલધારી સમાજ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે નારેબાજી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, ‘‘સમસ્ત હિન્દુ સમાજમાં ગૌ માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ગૌમાતા સર્વ હિન્દુ સમાજના લોકો માટે પૂજનીય છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં હજી આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો નથી. જે દુ:ખની બાબત છે.