
- અગાઉ વન વિભાગ દ્વારા બે વાનરોને પકડીને પાંજરે પુરવામાં આવ્યા હતા,
- મહિલાને સરકારી દવાખાને સારવાર ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી,
- વાનરોના ત્રાસથી લોકો રાતે ધાબા પર સુવા માટે પણ જઈ શક્તા નથી
પાલનપુરઃ થરાદના વાવમાં છેલ્લા કેટલાક સમયથી વાનરોનો આતંક જોવા મળી રહ્યો છે. અગાઉ આ અંગેની વન વિભાગને ફરિયાદ કરાતા બે તોફાની વાનરોને પકડીને પાંજરે પૂર્યા હતા. ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પણ થોડા દિવસ બાદ ફરી વાનરો તરખાટ મચાવી રહ્યા છે. વાનરો રાહદારીઓ પર પણ હુમલાઓ કરી રહ્યા છે. તેમજ રાતના સમયે વાનરોના ત્રાસથી લોકો ધાબા પર સુવા માટે જતા ડર અનુભવી રહ્યા છે. ત્યારે ગત બુધવારે પોતાના મકાનના ધાબા પર ગયેલા મહિલા પર વાનરે હુમલો કરીને મહિલાના હાથે બચકા ભર્યા હતા. મહિલાએ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. અને મહિલાને સારવાર માટે પ્રથમ સરકારી દવાખાને લઈ જવાયા હતા. પણ ત્યા સારવાર ન મળતા આખરે થરાદની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. અને મહિલાના હાથે સાત ટાંકા આવ્યા હતા.
વાવમાં તોફાની વાંદરાએ પુન: બુધવારે સવારે નવી બજાર વિસ્તારમાં આગાશીમાં ખાટલો લેવા ગયેલી મહિલા ઉપર હુમલો કર્યો હતો.જેમના હાથે બચકું ભરતાં સાત ટાંકા આવ્યા હતા. વાવમાં અગાઉ વન વિભાગ દ્વારા બે વાંદરાઓને પકડી પાંજરે પૂર્યા છે.પણ હજી સુધી વાવના લોકોને વાંદરાઓના આતંકથી છુટકારો મળ્યો નથી.
આ બનાવની વિગત એવી છે કે, બુધવારે સવારે સવા છ વાગ્યાના સમયે નવી બજાર વિસ્તારમાં શાંતિબેન ઘરની અગાશી ઉપર ખાટલો લેવા ગયા ત્યારે અચાનક વાંદરો આવી તેમના ડાબા હાથે બચકાં ભર્યા હતા.મહિલાને સારવાર અર્થે વાવ રેફરલ લઈ ગયા હતા ત્યાંથી થરાદ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી. શાંતિબેન પુત્રે જણાવ્યું હતું કે, વાવ રેફરલ ખાતે સવારે એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતુ. બીજું ભારે ઇન્જેક્શન ના હોઈ થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ગયા ત્યાં પણ તબીબો હાજર ન હોવાથી અને વધુ દુખાવો થતો હોઈ શાંતિબેનને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જઈ ત્યાં ઇન્જેક્શન તેમજ સાત ટાંકા લેવરાવી સારવાર કરાવવાની ફરજ પડી હતી.